લોકડાઉનમાં છૂટછાટ સાથે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણની પ્રક્રિયા ઝડપી બની ગઇ છે. રામલલ્લાના ગર્ભગૃહ સ્થળની ચારે તરફ 11 મેથી ચાલી રહેલા સમતલ કાર્ય લગભગ પુરુ થઇ ગયું છે. મંદિરની આધારશિલા રાખવાની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે.
બીજી તરફ શ્રીરામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય મહંત કમલનયન દાસે મંગળવારે જણાવ્યું કે દિવ્ય-ભવ્ય રામ મંદિર 2022 સુધીમાં તૈયાર થઇ જશે. હાલ થોડા સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રામ મંદિરની આધારશિલા રાખવા માટે આગ્રહ કરવામાં આવશે.
મહંત કમલનયન દાસે કહ્યું કે રામલલ્લાને તેમના દિવ્ય ભવનમાં સ્થાપિત કરવા માટે અમે તેને લઇને વધુ સમય લેવા ઇચ્છતા નથી. હાલમાં તંત્ર દ્વારા જેવી રીતે મંજૂરી આપવામાં આવી રહી છે તેવું મંદિર નિર્માણની દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે.
રામ મંદિર નિર્માણમાં પ્રથમ તબક્કામાં ફાઉન્ડેશન જ તૈયાર કરવામાં આવશે. જેને લઇને ખાડો ખોદવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ એલએન્ડ ટી કંપનીના એન્જીનિયરો રામજન્મભૂમિ પરિસરમાં કેમ્પ કરી રહ્યાં છે.
રામ મંદિર નિર્માણનું રેખાકૃતિ (ડાયગ્રામ) તૈયાર કરી વિસ્તૃત રિપોર્ટ જલ્દી જ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રને સોંપવામાં આવશે. 2022માં રામનવમીના દિવસે રામલલ્લાની આરતી તેમના દિવ્ય અને ભવ્ય મંદિરમાં કરવામાં આવે એવી અમારી યોજના છે.
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસે મંગળવારે કહ્યું કે રામમંદિરનું જે રેખાચિત્ર જે દુનિયાને દેખાડવામાં આવ્યું છે તે મુજબ જ મંદિર બનશે. તે જ પથ્થરો અને તે જ શિલાઓથી રામમંદિરનું નિર્માણ થશે. પહેલા અમે મંદિર બનાવીશું અને ત્યાર બાદ તેને એવો રંગરૂપ આપીશું કે વિશ્વનું એક અદ્દભુત રામમંદિર હશે.