ઉત્તરપ્રદેશના અયોધ્યામાં લાંબા સમય સુધી ચાલેલ વિવાદ બાદ હવે આખરે ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ શરુ થવા જઈ રહ્યું છે. મંદિરના નિર્માણના શિલાન્યાસમાં વડાપ્રધાન મોદી પોતે ભૂમિપૂજન કરવાના છે ત્યારે કોરોના વાયરસના કારણે મોટું આયોજન થઇ શક્યું નથી. જેના કારણે ગણ્યા ગાંઠ્યા લોકોને જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
ભૂમિપૂજનમાં યુપી સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ
ઉદ્ધવ ઠાકરેએ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
ભૂમિ પૂજનમાં 200 વીઆઈપી મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ૫મી ઓગસ્ટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે ભૂમિ પૂજન કાર્યક્રમ માટે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાથને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે સિવાય અન્ય કોઈ મુખ્યપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
હવે આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અગાઉ પણ ભૂમિ પૂજનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. શિવસેના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેનો રામ મંદિર આંદોલન સાથે વર્ષો જૂનો સબંધ રહ્યો છે. એવામાં ઉદ્ધવ ઠાકરેની આશાઓને મોટો ઝટકો લાગી શકે છે.અહેવાલો અનુસાર, ભૂમિ પૂજનમાં ૨૦૦ વીઆઈપી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોની યાદી અંગે ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. સુરક્ષાનાં કારણોસર આમંત્રિતોનાં નામ જાહેર કરવામાં આવી નથી રહ્યાં.
અયોધ્યાના ધારાસભ્ય, સાંસદ, મેયરને પણ ભૂમિપૂજનમાં બોલાવાશે. જોકે, રામ મંદિર સાથે જોડાયેલા ભાજપના ઘણા નેતાઓ બાકાત રહી શકે છે. ૬ ડિસેમ્બરે માર્યા ગયેલા કેટલાક કારસેવકોના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.