રામ મંદિરની જવાબદારી સંભાળી રહેલા રામ જન્મભૂમિના તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું છે કે રામ મંદિરના 2000 ફીટ નીચે એક ટાઇમ કેપ્સૂલ દાટવામાં આવશે. આ કેપ્સૂલ તામ્રપત્રમાં મૂકીને દાટવામાં આવશે. જેથી ભવિષ્યમાં મંદિર સાથે જોડાયેલા તથ્યો અંગે કોઈ વિવાદ ન રહે. આ કેપ્સૂલમાં મંદિરના ઈતિહાસ અને તેની સાથે જોડાયેલા તથ્યોની જાણકારી રહેશે.
રામમંદિરના નિર્માણ સમયે કરાશે આ કામ
2000 ફીટ નીચે દટાશે એક ટાઈમ કેપ્સૂલ
મંદિરના તથ્યો અને ઈતિહાસની જાણકારી આપશે આ ટાઈમ કેપ્સૂલ
કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે રામમંદિરને લઈને ચાલી રહેલા સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી ચાલતા સંઘર્ષને અત્યારની અને આવનારી પેઢીને એક નવો રસ્તો આપ્યો છે. રામ મંદિર નિર્માણ સ્થળની 2000 ફીટ નીચે એક ટાઈમ કેપ્સૂલ રખાશે જેથી ભવિષ્યમાં કોઈ પણ રામ મંદિરનો ઈતિહાસ જાણવા ઇચ્છે તો તેને રામ જન્મભૂમિ સાથેના તથ્યો મળી રહે. તેનાથી કોઈ નવો વિવાદ પણ સર્જાશે નહીં. તેઓએ વધુમાં કહ્યું કે આ ટાઈમ કેપ્સૂલને તામ્રપત્રમાં રાખવામાં આવશે.
ભૂમિપૂજનને લઈને જણાવી આ ખાસ વાત
ટ્રસ્ટના એકમાત્ર દલિત સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે 5 ઓગસ્ટે થનારા ભૂમિપૂજન માટે દેશની અનેક પવિત્ર નદીઓથી જળ અને અનેક તીર્થથી માટી પણ લાવવામાં આવી રહી છે. પવિત્ર જળથી ભૂમિ પૂજન સમયે અભિષેક કરવામાં આવશે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં 5 ઓગસ્ટે ભૂમિ પૂજન કરશે અને શિલાન્યાસ કરશે. કહેવાય છે કે આ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવત હાજર રહેશે. મળતી માહિતી અનુસાર ભૂમિ પૂજનને દિવાળીની જેમ ઉજવવાની યોજના છે. આ દિવસે દેશમાં દરેક ઘરો અને મંદિરોમાં દિવા અને મીણબત્તીઓ પ્રગટાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે તેમની બીજી બેઠક યોજાઈ હતી. આ વર્ષે રામ લલાની મૂર્તિને એક અસ્થાયી જગ્યાએ શિફ્ટ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 9 નવેમ્બરે કેન્દ્ર સરકારને આ જમીન નિર્માણ માટે આપવા કહ્યું હતું. તેની જવાબદારી રામ જન્મભૂમિ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવી છે.