પુલવામામાં થયેલા આતંકી હુમલા મુદ્દે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે ગંભીર આક્ષેપો કર્યા છે. એક જાહેરસભામાં સપા નેતા રામગોપાલે જણાવ્યું કે, પુલવામા હુમલો એક ષડયંત્ર હતું. મત માટે જવાનોનો ભોગ લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સત્તામાં આવીશું તો પુલવામા હુમલાની તપાસ કરાવીશું. કારણ કે, આ ષડયંત્રમાં મોટી મોટી હસ્તીઓના નામ ખુલી શકે છે.
રામગોપાલ યાદવે જણાવ્યું કે, સામાન્ય રીતે જવાનોને વિમાનમાં લઈ જવામાં આવે છે અને તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે છે પરંતુ આ વખતે જવાનોને સામાન્ય બસમાં મોકલવામાં આવ્યા હતા. જેને લઈને અર્ધ લશ્કરી દળો સરકારથી દુઃખી છે.
તો આ નિવેદનનો જવાબ આપતાં યોગી આદિત્યનાથે રામગોપાલ પર પલટવાર કર્યો તો. સીએમ યોગીએ કહ્યું કે રામગોપાલ યાદવનું આ નિવેદન ગંદી રાજનીતિનું ઉદાહરણ છે અને આ માટે તેમણે CRPF જવાનો અને દેશની જનતાની માફી માંગવી જોઈએ.
બીજી બાજુ સપાના અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એકદમ જ ચા વેચનારો ચોકીદાર બની ગયો, કંઈ ખબર જ ન પડી. ભાજપ સર્ટિફિકેટ આપનારી પાર્ટી બની ગઈ. હિંદુ અને રાષ્ટ્રવાદી હોવાનું સર્ટિફિકેટ ભાજપ આપે છે. અખિલેશ યાદવ કહે છે કે જો તમે ગેરમાર્ગે દોરવવા ન ઈચ્છતા હોવ તો ટીવી જોવાનું બંધ કરી દો. ન્યુઝ ચેનલ જોવાનું બંધ કરી દો. તેમણે કહ્યું કે અમારું ગઠબંધન બસપા સાથે થઈ ચૂકયું છે. અને દેશમાં ગઠબંધનની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. લોકસભાની ચૂંટણીમાં જીતીને ગઠબંધન સરકાર બનાવશે.
14 ફેૂબ્રુઆરીએ CRPF જવાનો પર થયો હતો હુમલો
4 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલમાં 40 જવાનો શહીદ થયા હતા. કાફલામાં એક આતંકવાદી આરડીએક્સની સાથે કારમાં સવાર થઈને ઘુસી આવ્યો હતો અને બસને ટક્કર મારીને વિસ્ફોટ કર્યો હતો. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. હુમલાના 13માં દિવસે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી અને જૈશની જગ્યાઓનો નાશ કર્યો હતો.