દૂરદર્શન પર રામાયણના એપિસોડ્સ પૂરા થતાં હવે તેની જગ્યાએ લવ-કુશ એટલે કે ઉત્તર રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. આ સીરિયલને કારણે જ ડીડી નેશનલે ટીઆપપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ શો એ સમયે પણ સુપરહિટ હતો અને આજે પણ સુપરહિટ છે. આ દરમિયાન રામાયણમાં 'રામ'ની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલે આ સીરિયલથી જોડાયેલી કેટલીક મજેદાર વાતો જણાવી છે. સાથે જ અરૂણે વર્તમાન ટીવી શોઝ પર નિશાન સાધતા ટિપ્પણી કરી છે.
રામાયણે ટીઆરપીમાં બધાંને પાછળ છોડ્યા
રામાયણના 'રામ'એ આજકાલના ટીવી સીરિયલ પર સાધ્યું નિશાન
અરૂણ ગોવિલે ટીવી શોઝને લઈને કહી આ વાત
એક ઈન્ટરવ્યૂમાં અરૂણ ગોવિલે જણાવ્યું કે, અમે ખૂબ જ ઓછાં સંસાધનો સાથે આ સીરિયલ શૂટ કરી હતી. ત્યારે એર કંડિશનર ફ્લોર નહોતા. અમારા કોસ્ટ્યૂમ પણ મેટલમાંથી બનેલાં હતા. હું અને મારા ઘણાં સાથી કલાકારો કોસ્ટ્યૂમને કારણે ઘાયલ પણ થયા હતા.
આરૂણે આગળ કહ્યું- ત્યારે અમારી પાસે આજકાલ જેવી ટેક્નોલોજી નહોતી. અમારે બહુ સ્ટ્રગલ કરવું પડ્યું હતું, પરંતુ જ્યારે તમે દિલથી કોઈ કામ કરો છો ત્યારે તમામ મુશ્કેલીઓ સરળ થઈ જાય છે. આજે પણ રામાયણની ગણતરી કલ્ટ સીરિયલ્સમાં થાય છે. લોકો રામાયણનું ફરી પ્રસારણ થવાતી ખૂબ જ ખુશ છે. અરૂણે કહ્યું, આજે પણ લોકો જ્યારે મને જુએ છે ત્યારે મારા આશીર્વાદ લે છે અને સેલ્ફી પણ લે છે.
અરૂણે આજકાલના ટીવી શોઝ પર નિશાન સાધ્યું અને કહ્યું- હવે ટીવી કન્ટેન્ટ હવે નેગેટિવ થઈ ગયું છે. લોકડાઉન પહેલાં અમે જ્યારે પર ટીવી ઓન કરતાં નેગેટિવ કેરેક્ટર જોવા મળતા હતા. ટીવી પર તમામ મહિલા કેરેક્ટર્સને નેગેટિવ રીતે દેખાડવામાં આવ્યા છે. અત્યારે મહિલા પ્રધાન શોઝ બની ગયા છે અને તેમાં મહિલાઓને નેગેટિવ અંદાજમાં પ્રસ્તુત કરવામાં આવે છે. જ્યારે તમે આવું કન્ટેન્ટ જુઓ છો ત્યારે તે તમારા મન પર અસર કરે છે.
ગોવિલે કહ્યું- હવે જૂના શોઝ પાછાં આવી રહ્યાં છે. તમે પૂરા પરિવાર સાથે આ શોઝ જોઈ શકો છો. પરંતુ આજકાલ શોઝમાં જે રીતે દેખાડવામાં આવે છે, તેને તમે પરિવાર સાથે બેસીને પણ જોઈ ન શકો. આગળ રામાયણના રિ-ટેલિકાસ્ટ પર અરૂણે કહ્યું- જ્યારે આજની યુવા પેઢી ઘરના વડીલો સાથે ફરીથી ટેલિકાસ્ટ જોઈ રહી છે તો જ્યારે પણ તેઓ ક્યાંક અટવાશે ત્યારે વડીલોને પૂછશે અને સમજી શકશે. મને લાગે છે કે સીરિયલો ફરીથી શરૂ કરવાથી એક સારાં જીવનની શરૂઆત થશે. રામાયણનું દરેક પાત્ર તમને કંઈક શીખવે છે. તમે રાવણ, મેઘનાથ, વિભીષણથી ઘણું શીખો છો.