તહેવારની સિઝનમા રોગચાળો અને મેડિકલ ઇમરજન્સી કેસ વધાવાની શકયતાને લઇને તહેવારોમાં 108ના કર્મીઑની રજા રદ કરાઇ છે.
તહેવારોમાં ઇમરજન્સી કેસ વધવાનું 108નું અનુમાન
108ના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
તહેવારોમાં પણ 108ના કર્મચારી રહેશે ખડેપગે
રક્ષાબંધનના તહેવારમાં નાગરિકો પોતાના સ્વજનોને મળવા અને શુભેચ્છા માટે જતા હોય છે જેના કારણે રક્ષાબંધનના દિવસે મેડિકલ ઈમરજન્સીમાં વધારો જોવા મળતો હોય છે. જેને લઇને ઈમરજન્સી કેસોને પહોંચી વળવા માટે 108 ના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. આથી લોકસેવાને અગ્રતા આપી 108ના કર્મચારીઓ ફરજ પર જ રક્ષાબંધનની ઉજવણી કરશે.
રક્ષાબંધનના દિવસે ઈમરજન્સી કેસમાં 11.76 ટકા વધારાનું અનુમાન
રક્ષાબંધનના તહેવારમાં રોડ પર લોકોની અવરજવર વધવાના કારણે માર્ગ અકસ્માત અને અન્ય અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે. આ ઉપરાંત આ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાંબી રજા હોવાના કારણે મેડિકલ ઇમરજન્સી કેસ વધવાનું 108 નું અનુમાન છે. 108 ના અનુમાન મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે ઈમરજન્સી કેસમાં 11.76 ટકાનો વધારો થશે. જેમાં રોડ અકસ્માતોના કેસો 127 ટકા જ્યારે ઋતુના કારણે તાવના કેસોમાં 9 ટકાનો વધારો થવાનું 108નું અનુમાન છે.
ગત વર્ષે રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસો 14.96 ટકા વધ્યા હતા
રક્ષાબંધન દરમ્યાન સામાન્ય દિવસોની સરખામણીએ વધતા ઇમરજન્સીના આંકડા પર નજર કરીએ તો 2019 સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધન કેસોમાં 7.99 ટકાનો વધારો નોંધાયો હતો. જયારે 2020 મા સામાન્ય દિવસની સરખામણીએ રક્ષાબધનના દિવસે ઇમરજન્સીમા 4.65 ટાકાનો વધારો થયો હતો જ્યારે 2021 મા રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસો 14.96 ટકા વધ્યા હતા. જેને પગલે આવતીકાલે2022 મા રક્ષાબંધનના દિવસે ઇમરજન્સી કેસોમાં 11.76 વધારો થવાનું 108 દ્વારા અનુમાન લગાવાઈ રહ્યું છે.
800થી વધારે એમ્બ્યુલન્સ તથા 4000 કરતા વધુ કર્મીઑની ટિમ સજ્જ
રક્ષાબધનના દિવસે લોકો તેમના પરિવારજનોને ત્યાં જતા હોય છે. જેને લઈને અકસ્માત,પડી જવાના કિસ્સા, મારામારીના બનાવો વધવાની શક્યતા વધી જાય છે. 108 ના વિશ્લેષણ પ્રમાણે 2022 મા રક્ષાબંધનના દિવસે અરવલીમાં 114 ટકા, છોટા ઉદેપુર 54 ટકા, દાહોદ 49 ટકા, તાપીમાં 47 ટકા ઇમરજન્સી કેસ વધવાનું અનુમાન છે. વધનારી ઇમરજન્સીને ધ્યાનમા રાખીને રાજ્ય ભરમાંથી 800થી વધારે એમ્બ્યુલન્સ તથા 4000 કરતા વધુ કર્મચારીઓ, પાયલોટ તેમજ મેડિકલ ટેકનીકેશન ટિમ સજ્જ કરવામાં આવી છે. તહેવારની મજા સજાના બને તે માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે.