રાકેશ ટીકૈતે સરકારને બીજી ઓકટોબર સુધી આપી દીધું અલ્ટિમેટમ
આ લોકો ખિલ્લા રોપશે અને અમે અનાજ : રાકેશ ટીકૈત
સરકારને ખુલ્લુ અલ્ટિમેટમ
ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતે શનિવારે ફરિવારે કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે. તેમણે સરકારને બીજી ઓકટોબર સુધી કાયદાને રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું અને કહ્યું કે અમે સરકાર સાથે કોઈ પણ દબાણમાં કોઈ વાતચીત નહીં કરીએ. નોંધનીય છે કે આજે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા દેશભરમાં ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું હતું અને ઘણા રાજ્યોમાં તેની અસર પણ જોવા મળી હતી. જોકે ગાજીપુર બોર્ડર સહિત દિલ્હીમાં સંપૂર્ણ શાંતિ હતી અને દિલ્હીમાં પચાસ હજાર જવાનોને ખડેપગે કરવામાં આવ્યા હતા.
શું કહ્યું રાકેશ ટીકૈતે
ચક્કાજામ બાદ ખેડૂતોને રાકેશ નેતાએ સંબોધન કર્યું હતું અને તેમાં તેમણે કહ્યું કે અમે કાયદાને પાછા લેવા માટે સરકારને બીજી ઓકટોબર સુધીનો ટાઈમ આપીએ છે. જે બાદ આગળ શું થશે તેના પર યોજના બનાવીશું. સરકાર અમારી વાત માની લે નહીં તો આંદોલનમાં જેના દીકરા આર્મી અથવા પોલીસમાં હશે તેમના પરિવારના લોકો આંદોલન કરવા આવશે અને પોતાના હાથમાં તસવીરો લઈને બેસશે. ક્યારે તસવીર લઈને આવવાનું છે તે પણ હું કહી દઇશ. સરકાર સાથે અમે કોઈ પણ દબાણમાં આવીને વાત કરવાના નથી.
દેશભરમાં યાત્રા કરવાની ચીમકી
રાકેશ ટીકૈતે આગળ કહ્યું કે સરકાર બિલ પાછા લઈને એમએસપી પર કાયદો બનાવે નહીં તો આંદોલન તો ચાલુ જ રહેશે અને આખા દેશમાં યાત્રા કરવામાં આવશે. આખા દેશમાં આંદોલન કરવામાં આવશે અને આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય જ હશે, પછી એમ ન કહેતા કે આ તે કેવું આંદોલન છે.
તીરંગાને લઈને સરકારને ઘેરી
નોંધનીય છે કે આજે ખેડૂતોએ સરકાર સામે ફરીથી બાંયો ચડાવી હતી અને આગેવાનોએ તેમનો જુસ્સો વધારવા માટે ભાષણો આપ્યા. રાકેશ ટીકૈતે કહ્યું કે તિરંગાને અમે પણ માનીએ છે અને અમારા દીકરાઓની શહીદી આ જ તીરંગામાં થાય છે, ગામડામાં તે તીરંગામાં લપેટાઈને આવે છે. તિરંગાનું અપમાન સાંખી નહીં લેવાય. આ લોકોને દેશથી લાગણી નથી અને વેપારીથી લાગણી છે. આ લોકોને ખેડૂતો સાથે લાગણી નથી પણ તેના અનાજ સાથે છે. આ ખિલ્લા લગાવશે અને અમે અનાજ વાવીશું. સરકાર સાથે વાતચીત મામલે તેમણે કહ્યું કે વાતચીત કરવામાં આવશે પરંતુ કોઈ શરતો સાથે વાતચીત ન થઈ શકે. જ્યારે પ્લેટફોર્મ બરાબરીનું હશે ત્યારે વાત કરવામાં આવશે.