રાકેશ ટિકૈતએ આજે એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતુંકે 3 કવિન્ટલ ઘઉં (300કિગ્રા)ની કિંમત એક તોલા સોના બરાબર કરી નાખવાની જરૂર છે.
રાકેશ ટિકૈતે આપ્યું નિવેદન
MSP ને લઈને કરી માંગણી
સરકાર ભાવની ગેરેન્ટી આપે : ટિકૈત
એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં વાત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમાં એમએસપી માટે મહેન્દ્ર ટિકૈતનો 'ટિકૈત ફોર્મ્યુલા' લાગૂ કરવાની જરૂર છે જેમાં ઘઉંની કિંમતોને સોનાની સાથે જોડી દેવામાં આવી છે અર્થાત, જે રીતે સોનાની કિંમતોમાં વધારો થયો છે તે રીતે જ ઘઉંની કિંમતોમાં વધારો કરવાની જરૂર છે.
ટિકૈત ફોર્મ્યુલા લાગૂ કરો : ખેડૂત નેતા
રાકેશ ટિકૈતે આપેલા નિવેદન પ્રમાણે 3 કવિન્ટલ જેટલા ઘઉંની કિંમત એક તોલા સોના જેટલી હોવી જોઈએ, મહત્વનું છે કે હવે ખેદૂત આંદોલનનું કેન્દ્ર સિંઘુ બોર્ડરથી ફરીને ગાજીપુર બોર્ડર પર પહોંચી ગયું છે. જ્યાં આ આંદોલનનો મુખ્ય ચેહરો હવે રાકેશ ટિકૈત જ છે જે પોતે ભારતીય કિસાન યુનિયનના સ્થાપક નેતા મહેન્દ્ર ટિકૈતના પુત્ર છે.
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે 1967માં સરકાર દ્વારા એમએસપી નક્કી કરવામાં આવી હતી, ત્યારે ઘઉંની કિંમત 76 રૂપિયા પ્રતિ કવિન્ટલ હતી, જે પ્રાઈમરી સ્કૂલના શિક્ષકની એક મહિનાની સેલેરી 70 રૂપિયા કરતા વધુ હતી, શિક્ષક એક મહિનાની સેલેરીથી એક કવીન્ટલ ઘઉં નહોતો ખરીદી શકતો, અને અમે એક કવિન્ટલ ઘઉંની કિંમતથી અઢી હજાર જેટલી ઈંટોને ખરીદી શકતા હતા, 30 રૂપિયાની 1 હજાર ઈંટ આવતી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્યારે સોનાની કિંમત એક તોલાની 200 રૂપિયા જેટલી હતી, જેનાથી 3 કવિન્ટલ ઘઉં ખરીદી શકાતા હતા, અમને ત્રણ કવિન્ટલ ઘઉંના બદલે એક ટોળું સોનુ આપી દો, જેટલી કિંમતો આ ચીજોની વધે તેટલી જ ઘઉંની પણ વધવી જોઈએને.
હું તો શેરડી ઉગાડું છું : ટિકૈત
ટિકૈતને એવું પૂછવામાં આવતા કે તે શું ખેડૂત કે કે નેતા? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે નેતા તો ચમકતા ઘરોમાં રહે છે, હું તો શેરડી ઉગાડું છું, ટ્રેકટર ચલાવવાનો શોખ છે અને વાવણીના દિવસોમાં આખો આખો દિવસ ટ્રેકટર ચલાવું છું.
પીએમ મોદી પર ભરોસો છે કે નહીંના જવાબમાં ટિકૈતે કહ્યું હતું કે દેશમાં નુકસાનની ખેતી રોકાવી જોઈએ, સરકાર એમએસપીની ગેરેન્ટી આપે, અને પીએમ પર અમને પૂરો ભરોસો છે એટલે જ તો અહીં બેઠા છીએ, તેમણે કહ્યું કે તે અમારાથી માત્ર એક કોલ જ દૂર છે તો તેમનો નમ્બર આપી દે, પીએમ મોદીનો નમ્બર અમને આપી દેવામાં આવે.