ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હવે ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે, તેમણે કહ્યું છે કે ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી, તેમણે માત્ર છળકપટ કર્યું છે, લોકોની ભાવનાઓ ભડકાવી, વોટ લીધા અને ગાદી પર બેસી ગયા.
રાકેશ ટિકૈતે ભાજપ પર સાધ્યું નિશાન
ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી
ભાજપે લોકોની ભાવનાઓ ભડકાવી: ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પક્ષ પર સીધો પ્રહાર કર્યો હતો, તેમણે કહ્યું હતું કે ભાજપે ક્યારેય કોઈ પણ આંદોલન કર્યું નથી અને માત્ર લોકોની ભાવનાઓ ભડકાવીને વોટ મેળવીને દેશની ગાદીએ બેસી ગયા છે. જયારે રિપોર્ટરે કહ્યું કે 26 જાન્યુઆરી પછી તમારું આંદોલન થોડું બદલાઈ ગયું છે, દીપ સિદ્ધુનું નામ આવ્યું, તેના લીધે તમારા આંદોલનનું નામ ખરાબ થઇ ગયું છે.
સરકાર આ મુદ્દાનો નિકાલ કરવા નથી માંગતી : ખેડૂત નેતા
આ પ્રશ્નના જવાબમાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર આ મુદ્દાનો નિકાલ કરવા નથી માંગતી અને તેથી તે તેને ભટકાવવા માંગે છે. દીપ સિદ્ધુનો પાકની કિંમતો સાથે કોઈ પણ સંબંધ નથી, અને તે અમારા માટે કોઈ મુદ્દો નથી, આ કોઈ હારજીતનો સવાલ પણ નથી કે લાલ કિલ્લા પર કબ્જો થઇ ગયો, મહત્વનું એ છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચે, અને એમએસપી પર કાયદો બનાવે.
ટિકૈતે વધુમાં કહ્યું હતું કે જે લોકોએ ઉત્પાત મચાવ્યો હતો તે આજે જેલના સળિયા પાછળ છે, અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે એમએસપી પર કાયદો બની જાય, કૃષિ કાયદા પરત ખેંચવામાં આવે, અને ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસ રદ્દ કરવામાં આવે. રિપોર્ટરના સવાલ પર કે શું તમને લાગે છે કે આ આંદોલનમાં કોઈ દેશવિરોધી તત્વો આવ્યા છે કે કેમ, ટિકૈતે જણાવ્યું હતું કે આ આંદોલનનો સંબંધ માત્ર કૃષિ સાથે છે, અને સરકાર તેના અન્ય જગ્યાએ તાર શોધી રહી છે, અમને ન તો એ લાઈન પર જવું છે અને ન તો કોઈ લેવાદેવા છે.
સરકારે શાહીનબાગ વાળા સાથે જે કર્યું તે જ ખેડૂતો સાથે કરી રહી છે : રાકેશ ટિકૈત
ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવવાની કોશિશ કરી રહી છે, આ પ્રકારની રાજનીતિ સરકારે ખેડૂતો સાથે ન કરવી જોઈએ, સરકાર આ આંદોલનને શાહીન બાગ ન સમજે તો જ સારું, સરકારે જે શાહીનબાગ વાળા લોકો સાથે કર્યું તેવુ જ તે ખેડૂતોની સાથે કરવાનો પ્રયત્ન કરી રહી છે.
ભાજપ પર નિશાન સાધતાં ટિકૈતે કહ્યું કે જ્યારે અડવાણી અને જોશી અયોધ્યામાં હતા ત્યારે ભીડને કેમ નિયંત્રિત ન કરી શક્યા? કોઈ પણ બેરીકેડ ભીડને નથી રોકી શકતા, પીએમ મોદીએ અમને આંદોલનજીવી કહીને સારું કર્યું છે, ગાંધીજી અને ભગતસિંહ પણ આંદોલનજીવી હતા, પબ્લિકમાં તો મેસેજ ગયો કે જે આંદોલન કરશે તે આંદોલનજીવી છે.