ભારતનાં આઝાદીનાં પર્વ પર જેટલી દેશવાસીઓમાં ખુશી હોય છે તેના કરતાં વધારે સુરક્ષાને લઈને દેશની સુરક્ષા એજન્સીઓને ભય હોય છે.
દિલ્હીનાં નવા કમિશનર બન્યા ગુજરાત કેડરનાં અસ્થાના
15મી ઓગસ્ટની સુરક્ષાને લઈને તાબડતોબ શરૂ કર્યું કામ
વર્તમાન સ્થિતિમા દિલ્હીનાં CPનું પદ ખૂબ ખાસ
અસ્થાનાએ તાબડતોબ બોલાવી બેઠક
ગુજરાત કેડરનાં IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હીનાં કમિશનર બનાવવામાં આવ્યા છે અને હવે સ્વતંત્રતા દિવસને ગણતરીનાં દિવસ બાકી છે. ભારતનાં આઝાદીનાં પર્વ પર જેટલી દેશવાસીઓમાં ખુશી હોય છે તેના કરતાં વધારે સુરક્ષાને લઈને દેશની સુરક્ષા એજન્સીઓને ભય હોય છે. એવામાં 15મી ઓગસ્ટની સુરક્ષાને લઈને અસ્થાનાએ તાબડતોબ બેઠક બોલાવી હતી અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. PM મોદીને કાફલા અને લાલ કિલ્લાથી તેમના સંબોધનને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે.
અત્યારે ખૂબ જ ખાસ છે દિલ્હી કમિશનરનું પદ
સુરતનાં પૂર્વ પોલીસ કમિશનર અને CBIનાં પૂર્વ સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને દિલ્હીમાં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેશનાં પાટનગર તરીકે દિલ્હીનું સરકાર માટે આગવું મહત્વ છે અને એવામાં કેન્દ્રએ પ્રધાનમંત્રી મોદીનાં ખાસ અધિકારીને પોલીસનું સુકાન તેમના હાથમાં આપ્યું છે. દિલ્હીમાં આ પહેલા થયેલા જુદા જુદા આંદોલનો અને તે આંદોલનો દરમિયાન અનેક વાર કાયદો અને વ્યવસ્થા બગડી હોવાની સ્થિતિ જોવા મળી હતી જેમાં સૌથી ખરાબ પરિસ્થિતિ CAA અને જામિયા યુનિવર્સિટીનાં આંદોલનમાં જોવા મળી હતી. હાલમાં ખેડૂત આંદોલન દરમિયાન દેશની આન-બાન-શાન કહી શકાય તેવા લાલ કિલ્લા પર ભારતનાં રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું. આમ દિલ્હી
કોણ છે રાકેશ અસ્થાના?
રાકેશ અસ્થાના 1984ની બેચના IPS ઓફિસર છે, જેમનો ભૂતકાળ ઘણો રસપ્રદ રહ્યો છે. તેમનો જન્મ ઝારખંડમાં રાંચીમાં થયો હતો અને IPS બનતા પહેલા તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા. તેમણે CBIના સ્પેશીયલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી જેમાં તે સમયના CBIના નિયામક અલોક વર્મા સાથે તેમનો વિવાદ બહુ જ પ્રચલિત બન્યો હતો. આ સિવાય ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ છે જેમાં તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ ઉકેલી નાખ્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
BSFના DG સાથે અન્ય વિભાગનો વધારાનો ચાર્જ સંભાળતા હતા
18 ઓગસ્ટ 2020ના રોજ રાકેશ અસ્થાનાની નિમણૂક BSFના DG પદે કરાઈ હતી અને આ સાથે તેમને NCBના DG તરીકેનો પણ વધારાનો ચાર્જ પણ હતો. તે અગાઉ તેઓ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS) સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના DG નો ચાર્જ સંભાળી રહ્યા હતા. મૂળે ઝારખંડના અસ્થાનાએ ખાણ કામ માટે પુરા દેશમાં પ્રખ્યાત ધનબાદના લાંચ કેસમાં DGMS એટલે કે Directorate General Of Mines Safetyના ડીજીની ધરપકડ કરી હતી. આ દેશમાં તે પ્રકારનો પ્રથમ કેસ હતો જેમાં કોઈ ડીજીની ધરપકડ થઇ હોય .
CBIના સ્પેશ્યલ ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યાં છે
ગુજરાત સાથે અસ્થાનાની કારકિર્દી લાંબી રહી છે. સુરત શહેરમાં સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર રહી ચૂક્યાં છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા. પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરને કમાન્ડ એન્ડ કંટ્રોલથી સજ્જ કર્યું હતું. ત્યાર બાદ રાકેશ અસ્થાનાની 23 ઓકટોબર 2017માં CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. CBIના એડીશનલ ડિરેક્ટર તરીકે રાકેશ અસ્થાનાની નિમણુક કરાઇ તે પહેલા તેઓ ગાંધીનગર ખાતે હથીયારી યુનીટમાં ટુંકા ગાળા માટે સેવા આપી ચૂક્યાં છે.