રાજ્યસભાના નોટિફિકેશન બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્લી પહોંચ્યા છે. રાજ્યસભાના નોટિફિકેશન મુજબ ગુજરાતમાં કોંગ્રસના ઉમેદવારની જીતવાની શક્યતા નથી, ત્યારે આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે પરેશ ધાનાણી દિલ્લી પહોંચ્યા છે.
પરેશ ધાનાણી દિલ્લીમાં હાઈકમાન્ડને મળીને નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવા અંગે માર્ગદર્શન મેળવશે. મહત્વનું છેકે આ અગાઉ જ કોંગ્રેસે નોટિફિકેશનને કોર્ટમાં પડકારવા અંગે જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીમાં અનોખો વળાંક આવ્યો છે, જેમાં લોકસભાની જેમ રાજ્યસભા પણ કોંગ્રેસના હાથમાંથી જઈ શકે છે. રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન દ્વારા ચૂંટણી યોજાઈ શકે છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે ત્યારે આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના રાજીનામા બાદ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી પાંચમી જુલાઇએ યોજાશે. આ બે બેઠકો માટે જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 5 જુલાઈના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ 5 જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.