ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ અને રાજ્યસભા સાંસદોને કોરોના સંક્રમણની પુષ્ટિ બાદ તેમની તબિયતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, ગુજરાતના ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીએ કોરોના ને માત આપી છે અને બીજા સાંસદ અહેમદ પટેલની તબિયત 45 દિવસની સારવાર બાદ હાલમાં સ્થિર બતાવાઈ રહી છે.
કોરોના પુષ્ટિ બાદ અહેમદ પટેલની ચાલી રહી છે સારવાર
નવી દિલ્હીમાં છેલ્લા 45 દિવસથી ચાલી રહી છે સારવાર
ભાજપ સાંસદ નરહરિ અમીન અને તેમની પત્નીએ કોરોનાને આપી માત
નોંધનીય છે કે હાલમાં છ દિવસ પહેલા નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોનાની પુષ્ટિ થઈ હતી, જે બાદ તેમને યુ એન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને હવે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેઓ અને તેમના પત્ની બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને આઠ દિવસ સુધી તેઓ હોમ આઇસોલેશનમાં રહેશે.
અહેમદ પટેલની તબિયત હજુ સ્થિર
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોજીટિવ આવ્યો હતો, જેના પછી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, છેલ્લે તેમને હોસ્પિટલ બદલાવીને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા, છેલ્લા 45 દિવસથી કોરોનાની સારવાર લઈ રહેલા પટેલનો કોરોના રિપોર્ટ હજુ નેગેટિવ આવ્યો નથી, પરંતુ ડોકટરોની દેખરેખમાં હાલમાં તેમની તબિયત સ્થિર છે એવું કહેવાઈ રહ્યું છે.
હજુ ભાજપના વધુ એક રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ ઘણા દિવસોથી કોરોના ગ્રસ્ત છે અને તેમની તબિયત વધુ લથડતા તેમને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હજુ સુધી તેમની સારવાર ચાલી રહી છે.