રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. તેમની છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આજે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
3 મહિના કોરોનાની ચાલી રહી હતી સારવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલાઈ હતી. ત્યારબાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
PM મોદીએ લખ્યું કે, અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. અભય ભારદ્વાજ સેવા કરવામાં સૌથી આગળ હતા.
Rajya Sabha MP from Gujarat, Shri Abhay Bharadwaj Ji was a distinguished lawyer and remained at the forefront of serving society. It is sad we have lost a bright and insightful mind, passionate about national development. Condolences to his family and friends. Om Shanti.
અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો મહત્વનો રોલ હતો. રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
જનસંઘના નેતા સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ હતા અભય ભારદ્વાજ
આપને જણાવી દઇએ કે, અભય ભારદ્વાજ રાજકોટના વતની હતા તથા જનસંઘના નેતા સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ હતા. તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અભય ભારદ્વાજ છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય છે. આ સાથે જ તેઓ રાજકોટ બાર એસોસિયેશનનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે
આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો જન્મ
અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954નાં રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતાં હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી.
18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં
તેઓ મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં. માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર
તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર હતા અને તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક પણ હતા. તેમના પરિવારમાંથી તેઓ અને નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે. કોમી રમખાણો વખતે સરકાર તરફથી તેઓ ઘણા કેસ પણ લડી ચૂક્યા છે. સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ છે. હાલ તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવે છે.