લોકશાહીના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી 24 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાવાની છે. આ જ દિવસે તેનું પરિણામ આવશે. રાજ્યસભાની આ ચૂંટણી અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ચૂંટણી બાદ રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થશે. બહૂમતિની નજીક પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપનું શું છે ગણિત?
19 જૂને રાજ્યસભાની 24 બેઠકો માટે મતદાન થશે
ભાજપ 9 બેઠક જીતે તો સ્ટ્રેન્થ વધીને 84 થશે
NDAને સ્પષ્ટ બહૂમતિ માટે માત્ર 22 બેઠકોની જરૂરિયાત રહેશે
રાજ્યસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે. 19 જૂને 24 બેઠકો માટે મતદાન થશે. ભાજપને આમાંથી નવ બેઠકો જીતવાનો વિશ્વાસ છે. જો ભાજપ આટલી બેઠકો જીતશે તો તેની સ્ટ્રેન્થ વધીને 84 થઈ જશે. 19 જૂને ચૂંટણી બાદ રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે NDA 100 સીટો સુધી પહોંચી જશે. તેને સ્પષ્ટ બહૂમતિ માટે માત્ર 22 બેઠકોની જરૂરિયાત રહેશે. તો સંસદનું શિયાળુ સત્ર યોજાવાનું છે. આ સત્રમાં સરકાર માટે ચિંતાનો કોઈ વિષય નથી કારણ કે ચાર નોમિનેટ સભ્યો સિવાય AIDMK, YSRCP, DMK અને TRS જેવી પાર્ટીઓ સરકારનો સાથ આપી શકે છે.
શું છે રાજ્યસભાનું ગણિત?
આ ગણિતને સમજીએ તો રાજ્યસભામાં હાલ 224 સાંસદ છે. 21 સાંસદોની જગ્યા હાલ ખાલી છે. તે 27 જૂન સુધીમાં 27 થઈ જશે. 19 જૂને 24 બેઠકો માટે ચૂંટણી યોજાશે જ્યારે બાકીની ત્રણની બાદમાં યોજાશે. હાલ સંસદમાં NDA પાસે કુલ 91 સાંસદ છે. જ્યારે NDA સિવાયના અને UPAના સાંસદોની સંખ્યા 68 છે. એકલા UPA પાસે 61 સાંસદ છે જેમાંથી કોંગ્રેસના 39 સભ્યો છે. 19 જૂને ચૂંટણી બાદ ભાજપના નવ સાંસદો વધી જશે. જ્યારે કોંગ્રેસના બે ઘટી જશે. એટલે કે ભાજપના સાંસદોની સંખ્યા 75થી વધી 84 થઈ જશે. કોંગ્રેસની 39થી ઘટી 37 પર આવી જશે. તો ગઠબંધનનો આંકડો પણ કંઈક આવી જ રીતે બદલાશે.
બહુમતિ ન હોવા છતા આ બિલ કર્યા હતા પાસ
આપને જણાવી દઈએ કે રાજ્યસભામાં ભાજપ કે NDAની સ્પષ્ટ બહૂમતિ નથી. તેમ છતાં મોદી સરકાર એવા અનેક બિલ પાસ કરાવવામાં સફળ રહી છે જે ઐતિહાસિક હતા. બહૂમતિ ન હોવા છતાં ટ્રીપલ તલાક, અનુચ્છેદ 370, CAB જેવા બિલ રાજ્યસભામાંથી ભાજપે પાસ કરાવ્યા. હવે ચૂંટણી પછી સંખ્યાબળ મજબૂત થને કારણે ભાજપના ફ્લોર મેનેજર્સનો વિશ્વાસ વધુ દ્રઢ થશે. તો આગળના બીજા બિલ પાસ કરવામાં સરળતા પડી શકે છે.
17 રાજ્યોની કુલ 55 રાજ્યસભા બેઠકો એપ્રિલમાં જ ખાલી થઈ હતી. આ સીટોની ચૂંટણી માટે 26 માર્ચે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. હરિયાણા, હિમાચલપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં મોટા ભાગની બેઠકો પર ચૂંટણી યોજાઈ ગઈ. તો હવે માત્ર 18 બેઠકો પર જ મતદાન થવાનું હતું. પરંતુ કોરોના વાયરસને કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગને ખુબ જરૂરી માનતા ઈલેક્શન કમિશને ચૂંટણી ટાળવાનો નિર્ણય કર્યો હતો.