રાજ્યસભાની એક બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વકર્યો છે. દર ચૂંટણીની જેમ રાજ્યસભાની આ ચૂંટણી પણ રસાકસીભરી બની ગઈ છે. અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું રાજ્યસભાના સાંસદ બનવું ફાઇનલ છે પણ ભરતસિંહ સોલંકી અને નરહરી અમિન વચ્ચે ભારે ખેંચતાણ થાય તેવી પૂરી સંભાવના છે. નરહરી અમિન પણ કોંગ્રેસનું ગોત્ર ધરાવે છે અને પાટીદાર નેતા છે. ત્યારે ભાજપે પાટીદાર કાર્ડ ખેલીને રાજ્યસભાની એક સીટ આંચકવાનો દાવ ખેલ્યો છે.
ભાજપે ખેલ્યો પાટીદાર દાવ
શું રાજ્યસભા માટે પાટીદારો નારાજ છે?
પ્રતાપ દુધાતની સુચક ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક
આપને જણાવી દઈએ કે, પાટીદાર નેતાને રાજ્યસભાની ટીકિટ અપાવવા માટે 14 પાટીદાર ધારાસભ્યોએ પક્ષ પર દબાણ કર્યું હતું. જોકે, તેમ છતાં એક પણ પાટીદાર આગેવાનને કોંગ્રેસે ટિકીટ આપી નથી. જેને પગલે પાટીદાર ધારાસભ્યોમાં નારાજગી છે તેવો ભાજપ પ્રચાર કરી રહ્યો છે. આ પ્રચારનું એક કારણ પણ હતું કેમકે, પ્રતાપ દુધાત ગઈકાલ સુધી ગાંધીનગર હતા. પરંતુ તે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ભરતી વખતે તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા. પ્રતાપ દુધાતની સુચક ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જેના કારણે ભાજપને એવો વિશ્વાસ બંધાઈ રહ્યો છે કે કોંગ્રેસમાં પાટીદારની નારાજગી અને જૂથવાદનો લાભ તેમને મળશે.
નરહરી અમીન માટે પણ આ ચૂંટણી કરો યા મરો જેવી
ભાજપે માસ્ટર સ્ટ્રોક મારીને કોંગ્રેસી અને પાટીદાર એમ બંને પાસાઓ ધ્યાને રાખીને નરહરી અમીનને ટીકિટ આપી છે. ત્યારે ભરતસિંહ માટે આ ચૂંટણી આકરી પરીક્ષા સાબિત થશે. ભરતસિંહે હાઈકમાન્ડ પર દબાણ કરીને આ સાંસદની ટિકિટ મેળવી છે. જો તેઓ વિજેતા ન થયા તો તેમની કારકીર્દીને ગ્રહણ લાગી જશે. નરહરી અમીન માટે પણ આ ચૂંટણી કરો યા મરો જેવી છે. જેઓ હાલમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા. જેઓએ આ પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. આમ જીત પહેલાં એક મહત્વનો હોદ્વાનો તો તેઓએ ત્યાગ કરવો પડ્યો છે. જેઓ આ ચૂંટણી હાર્યા તો ન ઘરના ના ઘાટના થઈ જશે. ભાજપે પાટીદાર ઉમેદવારને રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારીને છે અને પાટીદાર ધારાસભ્યોને ખેંચવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો એકી અવાજે કહી રહ્યા છે કે, અમે પહેલા કોંગ્રેસી છીએ પછી પાટીદાર છીએ. અમે કોઈની ચાલમાં ફસાવાના નથી.
કોંગ્રેસી પહેલા પક્ષ
જોકે હાલ તો ચૂંટણી પહેલા ભાજપ પોતે પાટીદારકાર્ડમાં સફળ થશે તેવી ખાતરી દર્શાવી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પોતે એકજૂથ અને પાટીદારી પહેલા કોંગ્રેસી હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ 26 તારીખે એ ખબર પડી જશે કે કોણ ક્યાં ઊભા હતા.