રાજ્યસભાની ચૂંટણી દિવસેને દિવસે રસપ્રદ બની રહી છે. આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ત્યારે પાંચ ધારાસભ્યોના રાજીનામાં બાદ પણ કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને જીતાડવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપી છે. ત્યારે ભાજપને અપક્ષના મત મળે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. આ દરમિયાન બન્ને પક્ષોએ એજન્ટની નિમણૂંક કરી છે.
રાજ્યસભા ચૂંટણી પહેલા એજન્ટની નિમણૂંક
ભાજપ-કોંગ્રેસે કરી પોતાના એજન્ટની નિમણૂંક
આગામી 24 માર્ચે યોજાશે રાજ્યસભા ચૂંટણી
જયપુર મોકલવામાં આવેલા તમામ ધારાસભ્યો 24 માર્ચે ગુજરાત પરત આવશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપ એજન્ટની નિમણૂંક કરી છે. ભાજપે પરિન્દુ ભગત, જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાને એજન્ટની જવાબદારી સોંપી છે. ભાજપે રાજ્યસભામાં 3 ઉમેદવારો ઉતાર્યા છે. અભય ભારદ્વાજ, રિટા બારા અને નરહરિ અમિન મેદાને છે.
તો બીજી તરફ કોંગ્રેસે પણ એજન્ટોની નિમણૂંક કરી છે. ભરતસિંહ સોલંકીના એજન્ટ તરીકે અમિત ચાવડાની નિમણૂંક કરાઇ છે. શક્તિસિંહ ગોહિલના એજન્ટ તરીકે શૈલેષ પરમારની નિમણૂંક કરાઇ છે. મહત્વનું છે કે, કોંગ્રેસે રાજ્યસભામાં 2 ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ઉતાર્યા છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, 'રાજ્યસભાની ત્રણેય બેઠક ભાજપ જીતે છે.' વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારની રાજ્યસભામાં જીત નક્કી છે. રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ દેખાઈ રહ્યો છે. હવે કોંગ્રેસના ધારાસભ્યો ન તૂટે તે ડરથી જયપુરથી છત્તીસગઢ જઈ રહ્યા છે. તો કોંગ્રેસે આ વાતને નકારી હતી.