10 જૂને થનારી રાજ્યસભાની ચૂંટણી રાજકારણને લઈને ખૂબ મહત્વપૂર્ણ છે અને મોટા ફેરબદલ પણ થઈ શકે છે ત્યારે સમજો આખું ગણિત
દેશની સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, જૂન મહિનાની 10મી તારીખે રાજ્યસભાની 57 સીટો પર ચૂંટણી થવા જઈ રહી છે. દેશની ચૂંટણીમાં કોઈ પાર્ટી ભલે જીતીને લોકસભામાં બહુમત લઈ આવે, ઑઁ રાજ્યસભામાં તેની પાસે બહુમત ન હોય તો બિલ પાસ કરાવવા અઘરા પડી જાય છે. એવામાં આ ચૂંટણી મહત્વપૂર્ણ બની રહેશે. આ ચૂંટણીની સીધી અસર જુલાઇમાં થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીને પણ સીધી જ અસર કરશે.
મતદાનનો સમય:10 જૂન, સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી
યુપીમાં ભાજપને સૌથી મોટો ફાયદો, પંજાબમાં AAP
વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ યુપીમાં ભારતીય જનતા પાર્ટી પોતાના રાજ્યસભા સાંસદોની સંખ્યામાં વધારો કરશે. યુપીમાં કુલ 31 રાજ્યસભા સીટ છે જેમાંથી 11 પર ચૂંટણી થશે, જેમાં હાલ 5 ભાજપ, 3 સમાજવાદી પાર્ટી, 2 BSP તથા એક કોંગ્રેસના હતા. જોકે હવેની ચૂંટણીમાં રાજ્યસભા સાંસદ બનવા માટે 34 મતની જરૂર પડશે જેથી ભાજપ પોતાના 8 સાંસદોને સરળતાથી જિતાડી શકશે અને સમાજવાદી પાર્ટી પોતાની સહયોગી પાર્ટી સાથે મળીને 3 સાંસદોને રાજ્યસભા પહોંચાડશે. કોંગ્રેસ અને BSPને નુકસાન થશે. પંજાબમાં પણ નવી નવી સરકાર બનાવનાર કેજરીવાલ બંને રાજ્યસભા સીટ પર કબજો જમાવી શકે તેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટી પાસે છે.
મોદી સરકારના 4 મંત્રીઓ રિટાયર, બેને ટિકિટ મળી, બીજા બેનું નામ ગાયબ
રાજ્યસભામાંથી જે 57 સાંસદો રિટાયર થઈ રહ્યા છે તેમાં મોદી સરકારના ચાર મંત્રીઓના પણ નામ છે, પિયુષ ગોયલ, નિર્મલા સિતારમણ, મુખ્તાર અબ્બાસ નકવી અને RCP સિંહ. ભાજપે પિયુષ ગોયલ અને નિર્મલા સિતારમણને ઉમેદવાર બનાવ્યા છે પરંતુ મુખ્તાર અબ્બાસ નકવીને ટિકિટ આપી નથી. બીજી તરફ JDUથી કેન્દ્રના મંત્રી RCP સિંહને પણ તેમની પાર્ટીએ ટિકિટ આપી નથી. એવામાં આ બે મંત્રીનું રાજીનામું પડે તેવી પ્રબળ સંભાવનાઓ બની રહી છે. નિયમ અનુસાર સાંસદ પદ ગયા પછી 6 મહિના સુધી તેઓ મંત્રી પદ પર રહી શકે છે.
ભારતીય જનતા પાર્ટીમાં 4 મોટા મુસ્લિમ નેતાઓ છે જેમાં મુખ્તાર અબ્બાસ નકવી, સૈયદ શાહનવાઝ હુસૈન, MJ અકબર અને ઝફર ઈસ્લામ. શાહનવાઝ હાલ બિહાર સરકારમાં મંત્રી છે પણ તે સિવાયના ત્રણેયને ફરીથી ટિકિટ આપવામાં આવી નથી. જોકે મુખ્તાર અબ્બાસ નકવીને ક્યાંક 'સેટ' કરવા માટે ભાજપ પાસે 3 ઓપ્શન છે.
1. લોકસભાની રામપુર બેઠક આઝમ ખાનના રાજીનામાં બાદ ખાલી પડી છે એવામાં તેઓને પેટાચૂંટણી માટે ટિકિટ આપવી
2. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે સંગઠનમાં કોઈ જવાબદારી
3. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવતા 12 મનોનીત સાંસદોમાં 7 બેઠકો ખાલી છે, તેમાંથી તેમને ઉમેદવારી આપવી
જોકે RCP સિંહે તો પોતાનું મંત્રીપદ છોડવું જ પડશે, ટિકિટ ન મળતા તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે જે નિર્ણય કર્યો તે મને મંજૂર છે. તેઓ પાર્ટીના નેતા છે અને સારા માટે જ નિર્ણય કર્યો હશે. તેમણે કહ્યું હજુ તો 6 જુલાઇ સુધી છું અને તે બાદ દિલ્હી જઈને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીશ અને મને જે કહેવામાં આવશે તે હું કરીશ. નીતિશ કુમાર સાથે 25 વર્ષનો નાતો છે.
મોદી સરકારના મંત્રી મંડળમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ખરી?
હાલમાં મોદી સરકારના મંત્રીમંડળમાં ત્રણ મંત્રીઓ બનાવાય તેટલી જગ્યા છે અને જો 2 બીજા મંત્રીઓના રાજીનામાં પડે તો કુલ 5 થાય. એવામાં આ મુદ્દે પણ કોઈ નવા-જૂની કરવામાં આવે તો નવાઈ નહીં.
રાજસ્થાનમાં ભાજપનો મોટો ગેમપ્લાન, કોંગ્રેસનું વધ્યું ટેન્શન
રાસજથાનની ચાર બેઠકો માટે કોંગ્રેસે 3 જ્યારે ભાજપે 1 ઉમેદવારની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ ઉદ્યોગપતિ અને મીડિયાના જાણીતા ચહેરા સુભાષ ચંદ્રાએ ઉમેદવારી નોંધાવી અને ભાજપે સમર્થન આપતા આખી ચૂંટણી રોચક બની ગઈ છે. વિધાનસભામાં જે સંખ્યા છે તે અનુસાર કોંગ્રેસના બે અને ભાજપનો એક સાંસદ એમ ત્રણ સાસંદ તો ફિક્સ છે આરામથી જીતી જશે પણ ચોથા સાંસદ માટે બંને વચ્ચે રસાકસી જામશે.
ચાર બેઠકો માટે કુલ 5 નેતાઓ મેદાનમાં, ચોથી સીટ જ મહત્વની
ભાજપ પોતાનો એક ઉમેદવાર જિતાડે તે પછી તેની પાસે 31 વોટ સરપ્લસ છે, એવામાં બીજા ઉમેદવાર તરીકે જીતવા માટે સુભાષ ચંદ્રાને વધારાના બીજા 11 વૉટની જરૂર પડશે. બીજી તરફ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જીતાડવા માટે વધારાના 15 વોટની જરૂર પડશે. 200 સીટોની વિધાનસભામાં રાજ્યસભાનો સાંસદ બનવા માટે પ્રત્યેક ઉમેદવારને 41 વોટની જરૂર છે.
કોંગ્રેસ પાસે 109, ભાજપ પાસે 71 ધારાસભ્યો છે. 13 અપક્ષ, 3 RLP, 2 BTP, 2 MKP, 1 RLD ધારાસભ્ય પણ છે. એવામાં ચોથી સીટ માટે ભાજપને અપક્ષ ધારાસભ્યો પર ભરોસો છે જ્યારે કોંગ્રેસ પણ તેમની તરફ જ મીટ માંડીને બેઠી છે.
પેન ચેન્જ કાંડ જેવું કંઈક થશે?
2016ની સાલમાં પણ સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર તરીકે ઉતર્યા હતા અને કોંગ્રેસની અંદર ડખાના કારણે તેમને ફાયદો થઈ ગયો અને ભાજપ ગેમ કરી ગયું હતું. તે સમયે કોંગ્રેસ અને ઈનેલો એમ બે પાર્ટી દ્વારા એક સંયુક્ત ઉમેદવાર હતો પરંતુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું જૂથ ખૂબ નારાજ હતું એવામાં થઈ ગયો પેન ચેન્જ કાંડ! કોંગ્રેસના 14 ધારાસભ્યોએ વોટમાં ખોટી પેન વાપરી અને તેમણે આપેલા વોટ રદ બાતલ થઈ જતાં, કોંગ્રેસ તરફથી જ જે ઉમેદવાર હતા તે હારી ગયા. માનવામાં આવે છે કે આ પેન ચેન્જ કાંડ કોઈ ભૂલ નહીં પણ જાણી જોઈને જ કરવામાં આવ્યું હતું. એવામાં રાજ્યસભાની સીટ જીતવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી કંઈક અજુગતું રાજસ્થાનમાં જોવા મળે તો નવાઈ નહીં.