ગુજરાતમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામાંથી રાજ્યની આગામી રાજ્યસભાની ચૂંટણીનું સમીકરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે. ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યાં છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમિને કોંગ્રેસના ધારાસભ્યાના રાજીનામાંને લઇને પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે કોંગ્રેસમાં પહેલાથી જ ધારાસભ્યો નારાજ છે. જેને લઇને નારાજ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડીને જઇ રહ્યાં છે.
કોંગ્રેસ MLAના રાજીનામાં પર નરહરિ અમીનની પ્રતિક્રિયા
કોંગ્રેસમાં પહેલાથી જ ધારાસભ્યો નારાજ છે
નારાજ MLA કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે
કોંગ્રેસના 2 ધારાસભ્યોએ પદ પરથી રાજીનામાં આપ્યા છે. ત્યારે હવે આ મામલે ભાજપના રાજ્યસભાના ઉમેદવારે નરહરિ અમીને પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસમાં પહેલાથી જ ધારાસભ્યો નારાજ છે. આમ પક્ષના વલણથી નારાજ MLA કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે.
નરહરિ અમિને કહ્યું કે જ્યારે ભાજપમાં ક્યારેય પણ આવું થતું નથી. ભાજપમાં નિયમોમાં રહીને કામ થાય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. અમારી પાસે BTP, NCP અને અન્ય ધારાસભ્યોનાં પણ મત છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.