કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું આપવાની સાથે જ કોંગ્રેસ ક્લિન બોલ્ડ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 2020ની રાજ્યસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ કોંગ્રેસમાંથી કુલ 8 રાજીનામાં પડી ચુક્યા છે. હવે કોંગ્રેસના બીજા ઉમેદવારની જીત શક્યતા પાંખી છે. જ્યારે ભાજપે જીત તરફ એક ઓર કદમ વધાર્યુ છે.
સોનિયા ગાંધીને મેઈલ કરીને કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામું
કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું: મેરજા
કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યુ છે. બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમણે સોનિયા ગાંધીને મેલ કરીને રાજીનામું આપ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યું હતુ કે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું. કોંગ્રેસની ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ધારાસભ્ય બ્રિજેસ મેરજા.
સોનિયા ગાંધીને પત્ર લખીને મેરજાએ લખ્યુ છે કે, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું. મારો હેતુ લોકોની સેવા કરવાનો છે. જોકે કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરવામાં અસમર્થ છું.. મહત્વનુ છે કે, ગઈકાલે બે ધારાસભ્યોના રાજીનામા આવ્યા હતા. અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ. પક્ષની કામગીરીથી નારાજ હોવાથી ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે.. કોંગ્રેસમાં પ્રજાના કામ ન થતા હોવાના ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે.
કોંગ્રેસમાંથી ગઈ કાલે કોણે આપ્યા રાજીનામાં
કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. આ અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
અગાઉ કોંગ્રસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.