રાજ્યસભાના ઈલેક્શન પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને તોડવા ભાજપ પૂરજોશથી પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે આજે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુકલાના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં અસંતોષની જ્વાળાઓ ઉઠી હતી ત્યારે એમ થાય કે શું ભાજપની કૂટનીતિ ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના પછડાટ માટે જવાબદાર હશે કે પછી કોંગ્રેસના વિખવાદને કારણે જ કોંગ્રેસ ફરીથી મોંમાં આવેલો કોળિયો ખોઈ દેશે?
કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુકલાના નામની ચર્ચા ઉઠતાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો નારાજ થયા હતા. અને વિરોધના સૂર ઉઠ્યા હતા ત્યારે આ ફાયદો સીધે સીધો ભાજપને થઈ શકે છે.
શું છે ગણિત?
દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક અંગે સુપ્રીમમાં ચૂકાદો આવી શકે છે. ચુકાદો અઠવાડિયામાં આવી શકે તેવી શકયતા છે. જો રાજયસભા પહેલા સુપ્રીમનો ચૂકાદો પબુભાની ફેવરમાં આવે તો ભાજપનો એક મત વધી જાય. જ્યારે કોંગ્રેસ માટે ઘટ પડે તેમ છે. તો ભાજપના ધારાસભ્યોની સંખ્યા 104 થઇ જાય. બીજી બાજુ કોંગ્રેસના ચારથી વધુ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચાઇ રહ્યું છે. જો ભાજપ ફરી આ ધારાસભ્યોને દાણાં નાખે તો બાજી પલટાઇ શકે તેમ છે. ગુજરાતમાં ફરી રાજયસભાની ચૂંટણી વખતે જ ગણિત પલટાઈ શકે તેમ છે.
શું છે પબૂભાની મેટર?
દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે આ મેટર સુપ્રીમમાં પહોંચી હતી.
કોણે કરી હતી રીટ?
દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભૂલ હોવાના મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશથી ભાજપને વધુ એક ફટકો પડ્યો હતો. ફોર્મ ભરવામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેક તથા તેમના પુત્ર ડમી ઉમેદવાર બંનેના ફોર્મમાં દ્વારકા ૮૨ વિધાનસભાની સીટ માટે નામ લખેલું ના હતું. ખરેખર ૧૮૨ સીટમાંથી કઈ સીટમાં તેઓ લડે છે તે લખેલું ન હતું. આથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહિરે વાંધો લેતા આ અંગે ચૂંટણી અધિકારીશ્રી જાડેજા સમક્ષ રાત્રિના બે વાગ્યા સુધી દલીલો ચાલી હતી. જે પછી આ ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું.
શું કહ્યું હતુ હાઈકોર્ટે
આ અંગે મેરામણભાઈ ગોરિયા તરફથી ધારાશાસ્ત્રી વી.એચ. કનારા અને બી.એમ. માંગુકિયાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખીને હાઈકોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં પબુભા માણેકે વિધાનસભા મત વિસ્તારનું નામ જ લખ્યું નહોતું અને ફોર્મમાં ક્ષતિ રહેવા છતાં તે સમયે ચૂંટણી અધિકારીએ ઉમેદવારીપત્ર તે માન્ય ગણ્યું હતું. જેને હાઈકોટે અમાન્ય ઠેરવ્યું હતુ.
કોંગ્રેસના ધારાસભ્યો પણ તુટી જાય તો ભાજપની બેઠકો વધી શકે
આ કેસ સુપ્રીમમાં પહોંચ્યો હતો અને આખરે આ કેસનો ચુકાદો જો આવી જાય તો ભાજપનું પીઠબળ વધી જાય અને કોંગ્રેસના ધારાસભ્યો પણ તુટી જાય તો ભાજપની બેઠકો વધી શકે છે.
ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.
કયા કયા સાંસદની ટર્મ પુરી થાય છે?
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી (ભાજપ)
વડોદિયા લાલસિંહ (ભાજપ)
ગોહેલ ચુનીભાઇ (ભાજપ)
મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ)
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે