રાજ્યસભાની બે સીટો માટે અલગ-અલગ ચૂંટણીને લઇ કોંગ્રેસ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે, સુપ્રીમ કોર્ટ તરફથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે હવે ભાજપના બંને ઉમેદવાર જુગલ ઠાકોર અને એસ.જયશંકરનું ચૂંટાવાનું નક્કી છે.
ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચનો જવાબ યોગ્ય માન્યો અને કોંગ્રેસની અરજી ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે રાજ્યસભાની ચૂંટણી બાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું છે.
મહત્ત્વનું છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત બાદ ગુજરાતમાં બે રાજ્યસભાની સીટ ખાલી પડી હતી. ત્યારે આ બંને સીટો પર ચૂંટણી પંચે જાહેરાનામું પાડી અને અલગ-અલગ ચૂંટણી કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇ કોંગ્રેસે વિરોધ કર્યો અને બંને સીટો પર એક સાથે ચૂંટણી કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
ત્યારે ચૂંટણી પચે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, છેલ્લા 57 વર્ષોથી આ રીતે ચૂંટણી કરાવતા આવ્યા છીએ અને પેટા ચૂંટણી માટે અલગ-અલગ જ ચૂંટણી થાય છે. દિલ્હી હાઇકોર્ટ અને બોમ્બે હાઇકોર્ટના ચુકાદાના ચુકાદાના આધારે ચૂંટણી કરાવીએ છીએ અને ચૂંટણી પંચના આ જવાબને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવતા કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. એટલે હવે આગામી 5 જૂલાઇએ ગુજરાતની બે રાજ્યસભાની ચૂંટણી માટે અલગ-અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે.
જ્યારે ભાજપના બંને ઉમેદવારો ઉમેદવારી નોધાવી છે. ઉમેદવારી પહેલા બંને મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, કેબિનેટમંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.