ગુજરાત રાજ્યસભાની ચાર સીટ પર ચૂંટણી નજીક આવતાં ભાજપના નેતાઓની ગતિવિધિઓ ઝડપી બની છે. રાજ્યના દિગ્ગજ નેતાઓ સેફ બેટીંગ માટે રાજ્યસભામાં છ વર્ષ બેસી રહેવા માટે લોબિંગ કરી રહ્યા છે. મંત્રી પદ ભોગવી ચૂકેલા નેતાઓને હવે રાજ્યસભામાં જવું છે તો સાઈડલાઈન થયેલા મંત્રીઓને સાંસદ બની દિલ્હીના આટાફેરા કરવા છે. જો કે બધા જ વચ્ચે અમિત શાહ પાસે તમામ દિગ્ગજ નેતાઓનું લોબિંગ ચાલી રહ્યું છે. ભાજપ મોવડી મંડળ પર કોઈ ટિકિટ પર પાટીદારને ઉમેદવારને ઉભા રાખવા મુદ્દે પ્રેશર થઈ રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ સીટ પર ઉભા રાખશે ઉમેદવાર
દલિત અગેવાન શંભુ પ્રસાદ તૂંડિયાને ભાજપ રિપિટ કરશે તેવી અટકળ
બીજી સીટ માટે ભાજપ ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરી તેવી શક્યતા
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ બેઠક પર ઉમેદવારો ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દલિત આગેવાન શંભુ પ્રસાદ તૂંડિયાને ભાજપ દ્વારા રિપિટ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. શંભુ પ્રસાદ તૂંડિયા પર મોવડી મંડળને વિશ્વાસ હોવાથી રિપિટ કરાય તેવું લાગી રહ્યું છે.
જ્યારે બીજી બેઠક માટે ભાજપ દ્વારા ક્ષત્રિય ઉમેદવારીની પસંદગી કરવામાં આવે તેવી અટકળો લગાવામાં આવી રહી છે. જેને લઇને ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજા અથવા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.
તો બીજી તરફ રાજ્યસભામાં ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાનું નામ પણ ઉમેદવાર તરીકે જોર-શોરથી ચર્ચામાં ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વિધાનસભાનું ચિત્ર જોતાં બે જ ઉમેદવાર ભાજપના જીતી શકે છે ત્યારે ભાજપનું મોવડી મંડળ યેન-કેન પ્રકારે ત્રીજી બેઠક જીતવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આ ત્રીજી બેઠક પર પાટીદાર કે OBC ઉમેદવારને ટિકિટ અપાય તેવી શક્યતા છે.