ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આગામી ૨૪ માર્ચે યોજાનારી છે. જેને ગમે તે ભોગે જીતવા માટે અને રાજ્યસભામાં પોતાનું બળ વધારવા માટે બંને પક્ષો તૈયારી કરી લીધી છે. હોળાષ્ટક પછી ૧૩ માર્ચે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા બને પક્ષે શરૂ થશે.
રાજ્યસભાની ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસની એક-એક મત માટે કવાયત
જરૂર પડે ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાની તૈયારી
ભાજપ-કોંગ્રેસ પોતાના બે-બે ઉમેદવાર જ મૂકીને રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણીની શક્યતા ટાળે તેવી રાજકારણમાં ચર્ચા છે, પરંતુ તે છતાં ચૂંટણીની જરૂર પડે તો સભ્યો ક્યાંય આઘાપાછા ન થાય તે માટે કોંગ્રેસ અને ભાજપ બને પક્ષ પોતાના સભ્યોને નજરકેદ કરી લે તેવી શક્યતા ના આધારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
પક્ષના સભ્યોને ૨૪ માર્ચથી જ નજરકેદ કરાય તેવી શક્યતા
ચૂંટણીના આગલા દિવસે ગૂડી પડવાની રજા આવતી હોવાથી બંને પક્ષના સભ્યોને ૨૪ માર્ચથી જ નજરકેદ કરાય તેવી શક્યતા છે. હજુ સુધી ફોર્મ ભરાવાની શરૂઆત થઇ નથી પણ ફોર્મ ભરાતાં જ ખ્યાલ આવી જશે. ભાજપ ત્રણ ઉમેદવારો મૂકે અને ચૂંટણીની ફરજ પડે તો કોંગ્રેસના સભ્યોને ૨૪મીની સાંજથી જ વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અજ્ઞાત સ્થળે લઇ જવાશે. જ્યાં તેમને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની સમજ અપાશે. ૨૬ માર્ચે ચૂંટણી બાદ એ જ દિવસે મતગણતરી યોજાશે.
ભાજપ એમએલએ પર વોચ રાખશે
ભાજપનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગત સમયે આર.સી. ફળદુ પ્રધાન હોવા છતાં રાજ્યસભાની ચૂંટણીમાં ખોટો મત આપી આવ્યા અને મત રદ્દ થયો હતો. આવી સ્થિતિ ન સર્જાય તે માટે ભાજપ પણ તેના સભ્યોને વ્હિપ આપવાની સાથોસાથ રાજ્યસભા ચૂંટણીના મતદાનની તાલીમ આપશે. આ ઉપરાંત તમામ સભ્યોને ૨૪ તારીખથી જ ગાંધીનગરમાં જ રહેવા અને વતનમાં કે મતવિસ્તારમાં પરત નહીં ફરવા જણાવી દેવાશે. ભાજપમાં પણ કેટલાક સભ્યો નારાજ છે અને તેઓ મતદાનથી દૂર ન રહે તે માટે પણ ભાજપ એમએલએ પર વોચ રાખશે.