રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને મંથન ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
રાજ્યસભાની પેટાચૂંટણી માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે..ત્યારે કોંગ્રેસ આજે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. જેને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ અશ્વિન કોટવાલ અને પ્રતાપ દૂધાત આ બેઠકમાં પહોંચ્યા છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ સ્થાનિક મોટા નેતાઓને ચૂંટણીમાં ઉતારે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્વાર્થ પટેલના નામ ચર્ચામાં છે. જો કે, મળતી માહિતી મુજબ અર્જુન મોઢવાડિયા રાજ્યસભાની પેટા ચૂંટણી લડવા તૈયાર નથી.
તો બીજી બાજુ રાજ્યસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો નામ પણ ચર્ચામાં છે. જેમાં મનિષ દોશી, કરસનદાસ સોનેરી, બાલુ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યાનો સમાવેશ થાય છે.
રાજ્યસભા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર નામ
મનિષ દોશી
કરશનદાસ સોનેરી
બાલુ પટેલ
ચંદ્રિકાબેન ચુડ઼ાસમા
ગૌરવ પંડ્યા
કોંગ્રેસમાં અંદરો-અંદર ડખા થયા શરૂ
રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ કોંગ્રેસમાં ફાટા પડવાનું શરૂ થઈ ગયું છે. તાજેતરમાં જ કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં કેટલાક ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેને લઈને વીટીવી સાથે ખાસ વાતચીત કરતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દળની બેઠક અંગે મને કોઈ જ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસ આ પ્રકારનું વર્તન કરીને ઠાકોર સેનાને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે. પરંતુ ટૂંક સમયમાં જ તેનો જવાબ પણ કોંગ્રેસને આપી દેશે.
ભાજપ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારની કરી શકે છે જાહેરાત
બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારની જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે મોડી સાંજ સુધીમાં ભાજપ બંને ઉમેદવારોના નામ જાહેર કરશે. ત્યારબાદ ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.