હવે ભાજપે રાજ્યસભામાં બહુમતી મેળવવા એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. જેમાં કોંગ્રેસના 10 જેટલા સભ્યો તોડવાનો ભાજપનો એક્શન પ્લાન છે. જ્યારે કોંગ્રેસના 12 જેટલા ધારાસભ્યો આગામી સમયમાં ભાજપમાં જઇ શકે છે.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સિવાય 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. તો અમરેલીમાં ભાજપ આંતરિક અસંતોષનો ફાયદો ઉઠાવવાના મૂડમાં છે. કોંગ્રેસના બે ધારાસભ્યો પર પણ ભાજપની નજર છે. જ્યારે ગીર સોમનાથના એક ધારાસભ્ય ભાજપના ટારગેટમાં છે. તો સુરેન્દ્રનગરમા એક ધારાસભ્ય પર ભાજપની વ્યૂહાત્મક વાતચીત થઇ રહી છે.
સુરેન્દ્રનગરના યુવા ધારાસભ્યને કુંવરજીના માધ્યમથી લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે જામનગરમાં એક અને કચ્છમાં એક ધારાસભ્યને ભાજપમાં સમાવવા કવાયત તેજ છે. વાત કરીએ પાટણની તો પાટણના બે ધારાસભ્યો ભાજપમાં આવી શકે છે. જેમાં અલ્પેશ ઠાકોર સમર્થક એક ધારાસભ્ય અને હાર્દિક સમર્થક એક ધારાસભ્ય પર ભાજપની નજર છે.
જ્યારે બીજી બાજુ ખેડાના એક ધારાસભ્ય પણ ભાજપમં જોડાય તેવી વ્યૂહરચના ઘડાઇ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 10થી વધારે સીટની જરૂર છે. ત્યારે કોંગ્રેસના બે બાગી ધારાસભ્યો સિવાય બીજા 10ને તોડવા માટે ભાજપે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. એટલે રાજ્યસભા ચૂંટણી ફરીવાર અહેમદ પટેલના વખત જેવી થવાના એંધાણ છે.