ગુજરાત રાજ્યસભાની પેટા ચૂંટણી આગામી 5 જુલાઈના રોજ યોજાવાની છે. રાજ્યસભાની પેટાચૂંટણી માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટે ભાજપે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
જેમાં ભાજપ દ્વારા એક બેઠક માટે વિદેશ મંત્રી એસ. જ્યશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને બંને ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભાજપના બંને ઉમેદવારો બુધવારે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.
તેમનું પુરૂનામ જુગલ મથુરજી ઠાકોર છે, ઉર્ફે જુગલ લોખંડવાલા તરીકે ઓળખાય છે. જુગલના પિતા મથુરજી ઠાકોરએ ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. જુગલ ઠાકોરે અલ્પેશ સામે ઠાકોર વિકાસ મંચની રચના કરી હતી. ઠાકોર સમાજમાં ભામાશા તરીકે ઓળખાય છે. ગત લોકસભામાં જુગલ ઠાકોરે પાટણ લોકસભાની ભાજપની ટિકિટ માંગી હતી. પાટણ લોકસભા જીતાડવામાં જુગલ ઠાકોરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
જુગલ ઠાકોર છેલ્લા 4 વર્ષથી પાટણ જિલ્લામાં શિક્ષણ અને સમૂહ લગ્ન જેવી પ્રવુતિ કરી રહ્યા છે. અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યા નથી. અગાઉ બેચરાજી વિધાનસભાની પણ ટિકિટ માંગી હતી. જુગલ ઠાકોર ઠાકોર સમાજમાં શિક્ષણ માટે તેમના પિતાના નામે ટ્રસ્ટ ચલાવે છે. જુગલ ઠાકોર શરૂઆતથી જ ભાજપ સાથે જોડાયેલા હતા. પાટણ લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની પાટણ સભા વખતે નરેન્દ્ર મોદીને હેલિપેડ પર આવકારવાની જવાબદારી જુગલ ઠાકોરને અપાઈ હતી.
વિદેશમંત્રી એસ. જયશંકર રાજ્યસભાના ઉમેદવાર
જેમાં ભાજપ દ્વારા એક બેઠક માટે વિદેશ મંત્રી એસ. જ્યશંકરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકર ફોર્મ ભરશે. મહત્વનું છે કે એસ. જયશંકર ભાજપના કાર્યકરી જેપી નડ્ડાની હાજરીમાં આજે જ સત્તાવારરીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે જ ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
જણાવી દઇએ કે ચૂંટણીપંચે બિહાર, ઓડિસા અને ગુજરાતની રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે 5 જુલાઇએ મતદાનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટણી જીતતા ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પણ આમાં સામેલ છે.