એક તરફ મધ્યપ્રદેશના રાજકારણમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બધી જ ઘટના વચ્ચે ભાજપે ગુજરાત રાજ્યસભાની 3 બેઠકો પૈકી 2 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારે ભાજપના નેતા શંભુપ્રસાદ ટુંડિયા નારાજ થયા હોવાનું સામે આવ્યું છે.
શંભુપ્રસાદ ટુંડિયાની નારાજગીનો મામલો
રાજ્યસભાની ટિકિટ ન મળતા થયા નારાજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાઇ બેઠક
ભાજપના રાજ્યસભાના સાંસદ અને ઝાંઝરકા મંદિરના મહંત શંભુપ્રસાદ ટુંડિયાની નારાજગી મામલે કમલમ ખાતે તેઓ પક્ષના હોદ્દેદારોને મળ્યા હતા. જો કે, ત્યારબાદ કમલમથી સીધા દિલ્હી જવા રવાના થયા હતા.
શંભુપ્રસાદ ટુંડિયા રાજ્યસભાની ચૂંટણીમાં પત્તુ કપાતા થયા નારાજ
આપને જણાવી દઇએ કે, ગુજરાતની 3 રાજ્યસભાની બેઠક પૈકી 2 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવી છે. ત્યારે શંભુપ્રસાદ ટુંડિયા રાજ્યસભાની ચૂંટણીમાં પત્તુ કપાતા નારાજ થયા હોવાનું સામે આવ્યું છે.
CM રૂપાણીના નિવાસ સ્થાને યોજાઇ બેઠક
રાજ્યસભાની 2 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થતા ઝાંઝરકા મંદિરના મહંત અને ભાજપના પીઢ નેતા શંભુપ્રસાદ ટુંડિયા નારાજ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી પક્ષના હોદ્દેદારોની બેઠક બોલાવી હતી. જેમાં શંભુપ્રસાદ ટુંડિયાની નારાજીગી મામલે ચર્ચા કરવામાં આવી હતી.
બીજી તરફ કોંગ્રેસના કોળી સમાજના આગેવાનોએ પણ રાજ્યસભા મામલે બેઠક
ગુજરાત કોંગ્રેસના કોળી ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. રાજ્યસભા પહેલા એક્તા દર્શાવવા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. પાટીદાર, OBC અને આદિવાસી બાદ કોળી સમાજની પણ માંગ કરી છે.
કોળી સમાજના સામાજિક અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. રાજ્યસભામાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ છે. આ અંગે લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ચોંકાવનારું નિવેદન કર્યું છે.
કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં કોળી સમાજને ટિકિટ મળે તેવી કરાશે રજૂઆત
તેમણે જણાવ્યુ હતું કે કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભુત્વ ઘટ્યું છે. રાજ્યસભામાં કોળી સમાજને ટિકિટ મળે તેવી રજૂઆત કરી છે. અહમદ પટેલને ઉમેદવાર મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને સંગઠનમાં પણ કોળી સમાજને મહત્વ આપવામાં આવતું નથી. કોળી સમાજને રાજ્યસભામાં કોંગ્રેસે સ્થાન આપ્યું નથી. જયારે ભાજપ કોળી સમાજને મહત્વ આપે છે. મારી રાજ્યસભામાં જવાની તૈયારી અને ઈચ્છા છે.
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે