ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને પગલે ઘમાસાણ મચ્યુ છે. ગઈકાલે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધી હતુ ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકાર પ્રહારો કરવામાં આવ્યા હતા. જેને પગલે આજે ડેપ્યુટી CM નીતિન પટેલે પણ જવાબ આપ્યો હતો.
રાજ્યસભા ચૂંટણી મુદ્દે નીતિન પટેલનુ નિવેદન
ધારાસભ્યો કેમ રાજીનામા આપે તે કોંગ્રેસે જવાબ આપવાનો
કોંગ્રેસે બીજા કોઈ સામે આંગળી ચીંધવાની જરૂર નથી
શું કહ્યુ નીતિન પટેલે?
ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહારનો મામલે DYCM નીતિન પટેલે આજે જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસે ભાજપ અથવા સરકાર પર આક્ષેપ કરવાની જરૂર નથી. હાલની સ્થિતિ જોઈને કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ધારાસભ્યો કેમ રાજીનામા આપે છે, તે ગુજરાત જાણે છે. કોંગ્રેસની સ્થિતિ વિશે આખુ ગુજરાત જાણે છે. કોંગ્રેસમાં કોઈ એક નેતા અથવા સિદ્ધાંત નથી. બીજા કોઈ સામે આંગળી ચિંધતા પહેલા આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
કોંગ્રેસમાંથી કોણે આપ્યા રાજીનામાં
કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. આ અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.
અગાઉ કોંગ્રસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા
લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ
ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.