રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધારા બીલ,2021 પાસ થતાની સાથે જ દિલ્હીમાં સીએમ કરતા ઉપરાજ્યપાલ વધારે પાવરફુલ બન્યાં છે.
રાજ્યસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધારા બીલ,2021 થયું પસાર
રાજ્યસભામાં ભારે હોબાળો, વિપક્ષનો વોકઆઉટ
ઉપરાજ્યપાલને મળી અનેક ગણી સત્તાઓ
દિલ્હી સરકાર પોતાની મેળે કોઈ કાયદો નહીં બનાવી શકે
દરેક કાયદા માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે
કેન્દ્ર સરકારે આ બીલ પાસ કરાવ્યું હોવાથી કેજરીવાલ સરકારે દરેક કાયદો બનાવતા પહેલા ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે. આ બીલ અનુસાર દિલ્હીમાં સરકારનો મતલબ ઉપરાજ્યપાલ હશે અને વિધાનસભામાં પસાર કોઈ પણ બીલને શક્તિ આપવાની તાકાત ઉપરાજ્યપાલ પાસે હશે. દિલ્હી સરકારે શહેર સંબંધિત કોઈ નિર્ણય માટે પણ ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે તેવી પણ બીલમાં જોગવાઈ છે. દિલ્હી સરકાર પોતાની મેળે કોઈ કાયદો નહીં બનાવી શકે.
કેજરીવાલને શા માટે વાંધો છે ?
દિલ્હીમાં ઉપરાજ્યપાલની શક્તિઓ વધારવા સંબંધિત બીલ અંગે રાજકીય ઘમાસાણ મચ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર એવો આરોપ લગાવ્યો કે સરકાર લોકસભા અને રાજ્યસભામાં આ બીલ લાવીને ચૂંટાયેલી સરકારની સત્તાઓ ઓછી કરવા માગે છે. આ બીલ બંધારણીય ખંડપીઠના ફેસલાથી વિપરીત છે. ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ પણ મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે સંસદમાં આજનો દિવસ કાળો દિવસ સાબિત થશે. લોકશાહીની હત્યા થઈ છે. તેમણે કહ્યું કે દિલ્હીની ચૂંટાયેલી સરકારના અધિકારીઓ છીનવી લઈને ઉપરાજ્યપાલના હાથમાં સોંપી દેવાયા છે.
કેજરીવાલ સરકારની શું ઈચ્છા છે
આમ આદમી પાર્ટી ઘણા લાંબા સમયથી રાજધાને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠાવી રહી છે. સીએમ કેજરીવાલ અવારનવાર દિલ્હી સરકારમાં ઉપરાજ્યપાલના હસ્તક્ષેપની ફરિયાદો કરતા રહે છે. નવા બીલમાં રાજ્યપાલની શક્તિઓ વધારવાની વાત કહેવામાં આવી હોવાથી બીલ રજૂ થયા બાદ વિવાદ વધુ વકરવાની સંભાવના છે.