ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ યોજાઈ રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 મી માર્ચ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારોની પસંદગીને લઈને રાજકીય અટકળો વચ્ચે કવાયત તેજ બની છે.
રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા
13મીએ ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અંગે હજુ પણ સસ્પેન્સ
જો કે ઉમેદવારોની પસંદગીને લઈને સસ્પેન્સ યથાવત્ છે આજે સાંજ સુધીમાં કેટલાક ઉમેદવારોના નામ જાહર થાય તેવી શક્યતા છે. ભાજપ પોતાની ત્રણ બેઠકો જાળવી રાખવા માટે બીટીપી અને એનસીપીને મેદાનમાં ઉતારે તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે.
હોળી-ધુળેટીના પર્વમાં જામી રાજકીય તોડફોડ
આ ચૂંટણી પહેલાં જ હોળી-ધુળેટીના પર્વમાં પર્વની ઉજવણીને બદલે રાજકીય તોડફોડ જોવા મળી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઉમેદવારીપત્રો ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ત્રીજા ઉમેદવારને સીધી રીતે મેદાનમાં ઉતારવાને બદલે અપક્ષ ઉમેદવારને સમર્થન કરીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેને લઇને આ વખતની રાજ્યસભાની ચૂંટણી પણ ગત રાજ્યસભા ચૂંટણી ચૂંટણી જેવી જ રસપ્રદ બનશે.
ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં 'નો રિપીટ થિયરી' અપનાવશે
રાજ્યસભાની ચાર સભ્યો માટે આગામી તારીખ ૨૬ માર્ચના રોજ મતદાન યોજાશે.ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં 'નો રિપીટ થિયરી' અપનાવશે બંને પક્ષોમાં ટિકિટની દાવેદારીને લઈને લોબિંગ ચાલી રહ્યું છે. ભાજપમાં શંભુપ્રસાદ ટુંડિયા અને રમણ વોરા પોતાના સ્થાન માટે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. બંને રાજકીય પક્ષોએ વિધાનસભા સચિવાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવી લીધાં છે.
આ નામની ચર્ચા
ભાજપ દલિત નેતા શભુ પ્રસાદ તૂંડિયાને પાર્ટી ફરીવાર રિપિટ કરી શકે છે. જ્યારે આત્મારામ પરમાર, રમણલાલ વોરાનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત ક્ષત્રિય નેતા આઇકે જાડેજા, કિરિટસિંહ રાણાનું નામ અને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ચર્ચામાં છે. જો કે આવતીકાલે સાંજ સુધીમાં બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા બાદ જ તમામ સ્થિતિ સ્પષ્ટ થશે.
શું કહે છે બંધારણ
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે