રાજકોટઃ સૌરાષ્ટ્રના મુખ્ય રજવાડા પૈકીનાં રાજકોટના 15માં રાજવી મનોહરસિંહ જાડેજા ઉર્ફે દાદાનું 83 વર્ષની વયે અવસાન થયું છે. રાજવી મનોહરસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ રણજિત વિલાસ પેલેસમાં સારવાર લઇ રહ્યા હતા. જો કે અલઝાઇમરની બીમારીમાં તેમની તબિયત વધારે લથડતા સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે.
મનોહરસિંહ એક રાજવી ઉપરાંત વિરાટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. તેઓ પોતાના યુવાની કાળમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તો રાજકારણમાં પણ તેઓ 40 વર્ષ સુધી સક્રિય રહ્યા હતા અને પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. તેઓ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય ઉપરાંત નાણામંત્રાલય અને આરોગ્ય મંત્રાલયનો કાર્યભાળ પણ સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કવી હ્રદય પણ હતા તેમણે રવિપિયુના ઉપનામથી કવિતાઓ પણ લખી છે.
રાજકીય કારકિર્દી
1967માં કોંગ્રેસમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા
1980-1995 અને 1990-1995 સુધી વિધાનસભાના સભ્ય રહ્યા
ધારાસભ્ય ઉપરાંત નાણામંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિતના કાર્યભાળ સંભાળી ચૂક્યા છે.
1998થી રાષ્ટ્રીય કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્ય વિભાગમાં સેવા આપી
રણજીત વિલાસ પેલેસઃ 1935માં જન્મ - 2018માં અવસાન
રાજવી મનોહરસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં 18 નવેમ્બર 1935ના રોજ થયો હતો. તેઓ દાદા તરીકેના ઉપનામથી જાણીતા હતા. તેઓ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમના લગ્ન માનકુમારી દેવી સાથે 1949માં તેમના લગ્ન થયા હતા. આજે 27 સપ્ટેમ્બર 2018ના રોજ તેમનું રણજિત વિલાસ પેલેસમાં તેમનું નિધન થયું છે.