અમરેલીમાં રાજુલા નગર પાલિકાના કોંગ્રેસના 14 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે. કોંગ્રેસ સામે બળવો કરતા પક્ષાંતર અધિનિયમ મૂજબ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પક્ષ સામે બળવો કરનારા હજુ વધુ કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં રાજુલા શહેરના મોટાભાગના વોર્ડમાં ચૂંટણી યોજાઇ તેવી શક્યતા છે.
રાજુલા નગરપાલિકામાં જંગી બહુમતીથી સત્તા પર આવેલ કોંગ્રેસ પક્ષના સભ્યોમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. જ્યાર બાદ આ મામલો કોંગ્રેસ સચિવ સુધી પહોંચ્યો હતો. જ્યારબાદ કોંગ્રેસના 14 સભ્યોનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને રાજકીય ગરમાવો સર્જાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. પરંતુ આ લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસના ત્રણ કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ કેટલીક નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો ભાજપમાં જોડાઇ ગયા અને ત્યાર બાદ ટિકિટની ફાળવણી સમયે ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું.