રાજસ્થાન વિધાનસભાની કુલ 199 બેઠકોમાંથી હાલમાં કોંગ્રેસ 101 બેઠકોથી આગળ અને ભાજપ 73 બેઠકો પરથી આગળ છે. ત્યારે હાલમાં મળતી ખબર મુજબ ઝાલરાપાટન બેઠક પરથી રાજસ્થાનનાં મુખ્યમંત્રી એવાં વસુંધરા રાજેનો ભવ્ય વિજય થયો છે. જ્યારે સરદારપુરા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર એવાં અશોક ગેહલોતનો પણ વિજય થયો છે. સાથે-સાથે કોગ્રેસનાં ઉમેદવાર સચિન પાયલટનો પણ ટોંક બેઠક પરથી વિજય થયો છે.
ત્યારે કોંગ્રેસને જીત તરફ જોતાં અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું કે 2019ની આગામી લોકસભા ચૂંટણીનાં આ સંકેત છે. તેમજ રાજસ્થાનમાં અમારી સરકારને પૂર્ણ બહુમત મળશે. સાથે સાથે અન્ય પક્ષો પણ અમને સાથ આપશે. આ ઉપરાંત RBI ગવર્નર ઉર્જિત પટેલનાં રાજીનામાને લઇને પણ નિવેદન આપતા જણાવ્યું કે આવનારા સમયમાં આપ હજી વધારે પરિવર્તન જોશો.
આપને ખ્યાલ જ હશે કે કર્ણાટકમાં પણ તેઓની સરકાર બની ના શકી. આજે દેશમાં જે પ્રકારે માહોલ છે. ગેહલોતે કહ્યું કે દેશની સંવૈધાનિક સંસ્થાઓ હાલમાં બરબાદ થઇ રહી છે. RBI ગવર્નરનું રાજીનામું એ કોઇ મામૂલી ઘટના ના કહીં શકાય.
પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને પણ ખુદે કહ્યું છે કે RBI ગવર્નર એ કોઇ કારકુન નથી કે તે ખુદ જઇને રાજીનામું આપે. તેઓએ મજબૂર થઇને રાજીનામું આપવું પડ્યું છે. કદાચ આવી ઘટના 25-30 વર્ષ બાદ આ પ્રથમ ઘટના છે.
બીજી બાજુ સ્પષ્ટ બહુમતિ તરફથી આગળ વધી રહેલ કોગ્રેસનાં નેતા સચિન પાયલટે પોતાની જીત બદલ કાર્યકરો તેમજ પ્રજાનો પણ આભાર માન્યો હતો. સચિન પાયલટે કહ્યું કે અમે રાજસ્થાનમાં સરકાર બનાવવા જઇ રહ્યાં છીએ. મુખ્યમંત્રીનાં પદ પર તેઓએ જણાવ્યું કે આ અંગે ધારાસભ્યો અને કોગ્રેસનાં હાઇકમાન્ડ નક્કી કરશે. રાહુલ ગાંધી ગયા વર્ષે આજનાં જ દિવસે કોગ્રેસ અધ્યક્ષ બન્યાં હતાં જેથી તેમનાં માટે આનાંથી ઉત્તમ ભેટ અન્ય શું હોઇ શકે.
મહત્વનું છે કે રાજસ્થાનની જો વાત કરીએ તો દર પાંચ વર્ષે અહીં સરકાર બદલાઈ જાય છે. ત્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હાલમાં બરાબર ટક્કર ચાલી રહી છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે. જેથી બહુમત માટે 100 બેઠકો મેળવવી જરૂરી છે.
પરંતુ અહીં એક બેઠક પર ઉમેદવારનાં મોતને કારણે કુલ 199 બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. રાજસ્થાનમાં હાલમાં મુખ્યમંત્રી તરીકે વસુંધરા રાજે છે. પરંતુ જો રાજસ્થાનનાં એક્ઝિટ પોલની વાત કરીએ તો કોંગ્રેસ હાલમાં 101 બેઠકથી આગળ છે અને ભાજપ 73 બેઠકથી પાછળ છે.