અમદાવાદના રાજપથ કલ્બ મેમ્બરશીપ કૌભાંડના મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસનો શરૂ કરવામાં આવી છે. વસ્ત્રાપુર PI સહિતનો પોલીસ કાફલો રાજપથ કલબ પહોંચ્યો છે. પોલીસ અને રાજપથ કલબની નિમાયેલી કમિટી ટીમ સાથે બંધબારણે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેમ્બરશીપમાં 1 કરોડથી વધુની ઉચાપતની આશંકા સેવાઇ રહી છે.
પ્રાથમિક તપાસમાં હેલ્પડેક્સ પર બેસતા હિતેષ દેસાઇની સંડોવણીની વાત સામે આવી છે. આ હિતેષ નવા સભ્યોના કાર્ડ અને મેમ્બરશીપનું કાર્ડ રિન્યુની કામગીરી કરતો હતો. આ મામલે હિતેષ દેસાઇના ઘરે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ તપાસને લઇને હિતેષ દેસાઇ ભૂગર્ભમાં જતો રહ્યો છે. ગેરકાયદેસર મેમ્બરશીપ લીધેલા 38 સભ્યોની પણ પૂછપરછ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના એસ.જી. હાઇવે આવેલ રાજપથ ક્લબના કુલ ૩૮ સભ્યોની મેમ્બરશીપ ગેરકાયદેસર રીતે વેચાઈ હોવાનું સામે આવતા ડિરેક્ટરોમા હડકંપ મચી ગયો છે. મૃત્યુ પામેલા અને દેશ બહાર હોય તેવા સહિતના ૩૮ સભ્યોની મેમ્બરશીપ વેચતા સમગ્ર મામલો વકર્યો અને વિવાદ શરૂ થયો.
જો કે ગતરોજ યોજાયેલી બોર્ડ મિટિંગમાં શંકાસ્પદ ૩૮ સભ્યોની એન્ટ્રી ઉપર હાલ કલબે પ્રતિબંધ ફરમાવ્યો. પ્રાથમિક માહિતી અનુસાર રાજપથ કલબના સર્વિસ કરતા કર્મચારી હિતેશ દેસાઈ દ્વારા મેમ્બરશીપ વેચાઈ હોવાનું બહાર આવ્યું. પરંતુ મેમ્બરશીપ કેવી રીતે વહેંચી કોના નામે ટ્રાન્સફર કરી જે સમગ્ર વિવાદમાં ક્લબની કમિટી બનાવવામાં આવી છે.
આ મામલે વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ થતાની સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો હતો અને રાજપથ ક્લબ પહોંચી દસ્તાવેજો સાથે નવા બનાવનાર હિતેષ દેસાઈ ક્યાં બેસતો હતો તે જગ્યાની વિગતો મેળવી તપાસ હાથ ધરવામાં આવેલ છે.