તાલિબાનનો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ ચિંતાજનક બાબત છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયન સંરક્ષણ પ્રધાન પીટર ડટન સાથે વાતચીત કરી. ખરેખર, તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં આધાર બનાવીને ઘણાં અન્ય આતંકવાદી સંગઠનો ક્ષેત્રમાં શાંતિ માટે વિવાદ ઉભો કરી શકે છે.
તાલિબાનનો ઉદય ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક બાબત
રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન સાથે કરી વાતચીત
તાલિબાનો જમ્મુ-કાશ્મીરની શાંતિ ડહોળે તેવી શક્યતા
તાલિબાન જમ્મુ-કાશ્મીર માટે સંકટ સમાન
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એવુ પણ કહ્યું કે, અફઘાન વિસ્તારનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલા અથવા કોઈને ધમકાવવા માટે ના કરી શકાય. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું કે, તેઓ નક્કી કરે કે અફઘાનિસ્તાન પર યૂએન સિક્યોરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન 2593 લાગુ થાય. મહત્વનું છે કે, ભારતીય ડેલિગેશને પણ આ સંદર્ભે ચિંતા દર્શાવી હતી કે તાલિબાનની વધી રહેલી તાકાત જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ માટે સંકટનું શૂળ ઉભુ કરી શકે છે. આશંકા છે કે અફઘાનની ધરતી પરથી ઉભો થયેલો તાલિબાની આતંક કાશ્મીર સુધી પહોંચી શકે છે.
વધી શકે છે 9-11 જેવા હુમલા
આ દરમ્યાન બ્રિટનની ગુપ્તચર એજન્સી MI-5ના પ્રમુખ કેન મેક્કલમે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પ્રભુત્વ બાદ ફરીથી 9/11 જેવા હુમલા થઈ શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના પ્રભુત્વ બાદ આતંકવાદીઓનું મનોબળ વધશે. એટલેકે 9/11 જેવા આતંકવાદી હુમલાનો ડર બનેલો છે.
9/11 હુમલાની 20મી વરસી
ઉલ્લેખનીય છે કે, શનિવારે 9/11 હુમલાની 20મી વરસી છે. આ પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે પોતાના સંદેશમાં 11 સપ્ટેમ્બરના હુમલામાં જીવ ગુમાવનારા લોકોને યાદ કર્યા છે. આ સાથે જ હુમલામાં લોકોને બચાવવા દરમ્યાન જે પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એવા લોકોને રાષ્ટ્રપતિ જો બાઈડેને શ્રદ્ધાંજલિ પાઠવી છે.