કૃષિ કાયદાના અમલ અને તેને પાછો ખેંચવાની માંગણી વચ્ચે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ મુદ્દે વચ્ચેનો રસ્તો બતાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું છે કે કૃષિ કાયદાનો અમલ 1-2 વર્ષ સુધી કરીને જોઈ લેવાય. આ સાથે જ આંદોલનકારી ખેડૂતોને કૃષિ કાયદાઓની ચર્ચા માટે આગળ આવવાની અપીલ કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે કહ્યું હતું કે જો ખેડૂતોને કાયદાઓનો લાભ નથી મળતો તો સરકાર સંશોધન કરી શકે છે.
કૃષિ કાયદાઓને લઈને રાજનાથ સિંહે કર્યું સૂચન
કૃષિ કાયદાઓને એક-બે વર્ષ માટે લાગૂ કરવા દો : સંરક્ષણ મંત્રી
ખેડૂતોના લાભમાં ન હોય તો સરકાર સંશોધન કરશે : કેન્દ્રીય મંત્રી
આંદોલનકારી ખેડૂતો ને પોતાના લોકો ગણાવતા સિંહે કહ્યું કે, "ધરણા પર બેઠેલા લોકો ખેડૂત છે અને ખેડૂત પરિવારોમાં જન્મે છે. અમને તેમના માટે ખૂબ આદર છે. રાજધાની દિલ્હીના દ્વારકામાં એક સભાને સંબોધન કરતાં સંરક્ષણ પ્રધાને કહ્યું કે તે પોતે એક ખેડૂતનો પુત્ર છે અને તેમને ખેડૂતો માટે માન છે. તેમણે ખાતરી આપી હતી કે મોદી સરકાર એવું કશું પણ નહીં કરે કે જેનાથી ખેડૂતો નું અહિત થાય".
ખેડૂતો ને ચર્ચા કરવા માટે રાજનાથ સિંહે કરી વિનંતી
ખેડૂતો ને નવા કૃષિ કાયદાને ટ્રાયલ તરીકે લેવાની વિનંતી કરતાં ભાજપના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે જો આ કાયદા ફાયદાકારક ન જણાશે તો સરકાર તમામ જરૂરી સુધારા કરશે. રાજનાથ સિંહે કહ્યું, "કૃષિ કાયદા હવે એક કે બે વર્ષ માટે લાગુ થવા દો." તે એક ટ્રાયલ તરીકે જોવામાં આવે અને જો તે ખેડૂતો ને ફાયદાકારક ન જણાતું હોય તો સરકાર દરેક સંભવિત સુધારા માટે તૈયાર હશે. ''
તેમણે કહ્યું કે દરેક સમસ્યાનું સમાધાન વાટાઘાટોથી થઈ શકે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વાતચીત ચાલુ રાખવાના પક્ષમાં છે, તેથી સરકારે તેમને આમંત્રણ આપ્યું છે. સંરક્ષણમંત્રીએ તમામ આંદોલનકારી ખેડૂતો ને કૃષિ કાયદાઓની ચર્ચા કરવા આગળ આવવા અપીલ કરી હતી.