રાજકોટ:ઉનાળાનું હજુ આગમન પણ નથી થયું ત્યાં તો સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ ઉભુ થયું છે.રાજકોટમાં પાણીની સમસ્યાને કઈ રીતે પહોંચી વળવું તેને લઈને તંત્ર ચિંતામાં મુકાયું છે.જેને લઈને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ અને પાણીની તંગીને ખૂબ જૂનો સંબંધ રહેલો છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પાણીની સમસ્યા સર્જાતી હોય તો તે રાજકોટમાં જ સર્જાય છે.પાણીની સમસ્યા અને તેના નિકાલ પર રાજકોટ મહાનગરપાલિકામાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે.તો બીજી તરફ ધારાસભ્યો સાંસદો અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પાણીને લઈને ચિંતામાં મુકાયા છે.
છેલ્લા બે વર્ષથી ઓછો વરસાદ પડી રહ્યો છે.જેના કારણે સૌરાષ્ટ્રના તમામ ડેમ તળિયા ઝાટક થયા છે.તો પીવાના પાણી માટે એક માત્ર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર રહ્યો છે.જોકે ચાલુ વર્ષે નર્મદા ડેમની જળસપાટી ઈતિહાસમાં પ્રથમ વાર 110 મીટરે પહોંચી ગઈ છે.જે સંકટના એંધાણ છે.
રાજકોટમાં જળસંકટ ઉભું થતાં જ સરકાર એક્શનમાં આવી ગઈ છે.અને જળસંકટને પહોંચી વળવા માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે.કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.જેની મંજૂરી માટે સરકાર સમક્ષ મોકલી આપવામાં આવ્યો છે.આ પ્લાનમાં જેતપુર ધોરાજી જસદણ પંથકમાં પાણીની તંગી નિવારવાનો ઉલ્લેખ છે.જેમાં પ્રત્યેક ગામમાં કૂવા અને ગામ દીઠ 3 બોર બનાવાશે.આ માસ્ટર પ્લાન પાછળ 11.50 કરોડ ખર્ચાશે.
હાલની સ્થિતિ પર નજર કરીએ તો રાજકોટને નર્મદાનું 100 MLD પાણી મળે છે.જોકે RMCએ 110 MLD પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.જ્યારે અન્ય 100 MLD પાણી અન્ય ડેમમાંથી લેવાશે.જેમાં ન્યારી ભાદર અને આજી ડેમનો સમાવેશ થાય છે.આ ઉપરાંત આજી ડેમને ભરવા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે.સાથે જ નર્મદાનું પાણી ઓછું મળશે તો લોકલ સ્ત્રોત ઉભા કરાશે.જેમાં હાલ માત્ર 50% પાણી છે.
મહત્વનું છે કે હાલ મનપા દ્વારા દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવે છે.જોકે જેમ ઉનાળો નજીક આવતો જાય છે તેમ પાણીકાપ મુકવામાં આવી શકે છે.જોકે આ વર્ષે સરકારે પણ ખાતરી આપી છે કે ઉનાળામાં પાણી કાપ નહીં સર્જાય.અને તંત્રએ પણ એક્શન પ્લાન ઘડી કાઢયો છે.ત્યારે આ એક્શન પ્લાન કેટલો સફળ રહે છે તે જોવું રહ્યું.