રાજકોટ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જંત્રાખડી ગામે થયેલ બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે નિવેદન આપી આરોપીને કડક સજાની ખાતરી આપી હતી.
જંત્રાખડીમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો મામલો
રાજકોટમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
સુરતની ઘટના જેવી જ ગંભીરતા લેવામાં આવી: હર્ષ સંઘવી
સુરતની ઘટનાની જેમ જ કડક સજા કરી દાખલો બેસાડાશે: સંઘવી
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે માસૂમ બાળકીને આરોપીએ હવસનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ રૂહકાંપ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છે. તેવામાં આ ઘટના અંગે રાજકોટમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, સુરતની ઘટના જેવી જ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે જેથી સુરતની ઘટનાના આરોપીને જેમ આકરી સજા ફટકારવામાં આવી છે તેમ આગામી સમયમાં જંત્રાખડી દુષ્કર્મ-હત્યાના આરોપીને પણ કડકમાં કડક સજા કરી દાખલો બેસાડવામાં આવશે.
SITની રચના કરી દેવામાં આવી છે: સંઘવી
એટલું જ નહિ જંત્રાખડીની ઘટનામાં કડક દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે. આ મામલે SITની પણ રચના કરી દેવામાં આવી છે. વધુમાં જંત્રાખડીની બાળકીના પરિવારને ન્યાય મળશે તેવી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી.
શુ હતી સમગ્ર ઘટના ?
આશરે આઠેક દિવસ અગાઉ ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામની આઠ વર્ષની માસૂમ બાળકી ઘરે એકલી હતી. જેને પાડોશીએ દુકાને વસ્તુ લેવા મોકલી હતી. જે જઈ રહી હતી ત્યારે રસ્તામાં આરોપી આરોપી શામજી ભીમા સોલંકીએ પણ આ દિકરીને રૂપીયા આપી બીડી મંગાવી હતી. જે બીડી લઈ આવેલી દીકરી બીડી દેવા આરોપીનાઆ ઘરે ગઈ ત્યારે આરોપી શામજી ઘરે એકલો હતો. જેનો લાભ લઈ તેને બાળકીને અંદર ખેંચી લીધી હતી. આરોપીના આ કૃત્યથી બાળકી હેબતાઈ જઇ બૂમો પડતાં તેના મોઢે ડુમો દઈ આરોપી શામજીએ વાસના ભૂખ્યા વરુની જેમ બાળકીને પીંખી નાખી હતી. નરાધમ શખ્સે માસુમ ઉપર દુષ્કર્મ આચર્યા બાદ પોતાનું કૃત્ય સંતાડવા ઠંડા કલેજે ફૂલ જેવી બાળકીની હત્યા નિપજાવી હતી. એટલું જ નહી રાક્ષસી વૃતિ દાખવી દયાહિન શખ્સે માસુમના મૃતદેહને કોથળામાં ભરી ગામના 66 કે.વી.ની સામે ફેંકી દીધો હતો. અને જાણે કઈ થયું જ ન હોય તેમ ઘરે આવી સુઇ ગયો હતો.