લોકસભા ચૂંટણીને હવે મહિનો બાકી છે. આગામી 23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. જો કે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરાયા. તો રાજકોટમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પસંદગીમાં પેચ ગૂંચવાયો છે. ભાજપ વર્તમાન સાંસદને રિપિટ કરવા પર વિચાર કરી રહ્યું છે. ભાજપમાં મોહન કુંડારિયા સામે ધનસુખ ભંડેરી દાવેદાર છે. ધનસુખ ભંડેરીના નામ પર પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા કરાઇ છે.
તો બીજી બાજુ ઉમેદવાર પસંદગી મુદ્દે કોંગ્રેસમાં પરિસ્થિતિ વધુ અઘરી છે. કોંગ્રેસમાં શિવરાજ પટેલના નામ પર વિચારણા કરાઇ રહી છે. તો હિતેશ વોરા અને લલિત કગથરાનું નામ પણ રેસમાં છે. ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં એક કરતા વધુ જૂથો ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ટિકિટ વહેંચણી બાદ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠશે તે નક્કી છે.
પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું
નરેશ પટેલને ચૂંટણી લડવા ખેંચી જવા માટે ભાજપ સફળ થાય તે પહેલા કોંગ્રેસે દાવ અજમાવ્યો છે. કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપવાની કવાયત શરૂ કરી છે. કોંગ્રેસ શિવરાજ પટેલને કોંગ્રેસમાંથી રાજકોટ બેઠક પર લડાવવા માટે મનામણા કરી રહી હોવાની વાત સામે આવી હતી. જેના કારણે રાજકોટ બેઠકને લઈને પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું છે.
ભાજપ માટે સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી બની માથાનો દુઃખાવો
મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે. સૌરાષ્ટ્રની 3 બેઠકોમાં ઉમેદવાર નક્કી કરવા ભાજપ મથામણ કરી રહ્યું છે. જેમાં રાજકોટ, પોરબંદર અને ભાવનગર બેઠક મામલે કોકડું ગૂંચવાયું છે. ટિકિટ ફાળવણી મામલે પાટીદાર સંસ્થાઓએ પણ દખલગીરી કરી છે.