રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિની નિમણૂકને લઈને અનેક વાર વિવાદોમાં રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નીતિનકુમાર પેથાણીની કાયમી કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી કુલપતિ પદ ખાલી હતું અને કાર્યકારી કુલપતિ દ્વારા સંપૂર્ણ વહીવટનું સંચાલન કરવામાં આવતુ હતું.
ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની નિમણૂક કરાતા અનેક વિવાદોનો અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નીમવા સૂચનો કર્યા હતા. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ શોધ સમિતીના સભ્યો ડો.યોગેશસિંઘ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા અને ઉતર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રજાપતીની એક બેઠક મળી હતી.
જેમાં તમામ સંભવિત ઉમેદવારોના બાયોડેટાની ચર્ચા વિચારણા કરાઈ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે એક નામ સીલબંધ કવરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગને આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ વિભાગે નવા નામની જાહેરાત કરી હતી.