એક સત્યુગ હતો જ્યારે સીતાએ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતી. જોકે આજે પણ સમાજમાં રાવણ જીવિત છે અને હજુ પણ અગ્ની પરીક્ષા યથાવત છે.
સત્યુગ વિત્યાને બે યુગ વિતી ગયા છે તેમ છતાં આજે પણ મહિલાઓને જ અગ્નીપરીક્ષા આપવી પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટમાં જ્યાં એક સગીર પીડિતાની પવિત્રતાના પારખા કરવામાં આવ્યા હતા.
પીડિતા ઘરે એકલી હતી તે સમયે આરોપીએ તેની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પીડિતાએ તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ પણ તેની પવિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.
આ ઉપરાંત જ્યારે આરોપીની પત્નીને જાણ કરી તો તેને પણ પીડિતા પર જ આંગળી ચિંધી હતી અને તેની પવિત્રતાના પારખા કરાવ્યા હતા. આરોપીની પત્નીએ તેલ ગરમ કર્યું અને પીડિતાને તેમાં હાથ નાખવા કહ્યું હતુ.
જોકે સગીરા ન માનતાં આરોપીની પત્નીએ હાથ ખેંચીને ઉકળતા તેલમાં નાખી દીધા હતા જેથી સગીરાનો હાથ કાંડા સુધી ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જ્યારે આરોપીની પત્ની ફરાર થઈ ગઈ છે. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે સગીરા દ્વારા છેડતીની કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. પોલીસે જણાવ્યુ હતી કે જો છેડતીની ફરિયાદ મળશે તો તે પ્રમાણેની કલમો ઉમેરીને વધુ કાર્યવાહી હાથ ધરાશે.