રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ કોરોના વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ચલાવાઇ રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના જ વતનમાં જ રેમડેસીવર ઇંજેક્શન ખૂટી જતાં મામલો ગરમાયો છે. જો કે, CM રૂપાણી દ્વારા આ મામલે વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ ગંભીર
રાજકોટમાં ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ
રેમડેસિવિર ઇન્જેક્શનનો વધુ જથ્થો ખૂટ્યો
કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, શહેરના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસીવર ઇન્જેક્શનનૉ સ્ટોક છેલ્લા 2 દિવસથી ખલાસ થઇ ગયો છે. જો કે, સિવિલ હોસ્પિટલમાં આ ઇંજેક્શનનો જથ્થો પુરતી માત્રામાં હોવાનું જાણવા મળેલ છે.
રાજકારણ ગરમાયું
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રેમડેસિવિરને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 45 હજાર ઇન્જેશનની જરૂર છે પરંતુ છેલ્લા 3 દિવસથી શહેરમાં રેમડેસીવર ઇંન્જેક્શન પડ્યા નથી.
મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ
આ સાથે જ તેમણે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વચ્ચે શહેરના મોટાભાગની હોસ્પિટલો પણ ફૂલ થઇ ચૂકી છે અને આવનારા સમયમાં ઓક્સિજનની પણ અછત સર્જાઇ શકે છે. કોંગ્રેસ અગ્રણીએ કહ્યું કે, શહેરની વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, રંગાણી હોસ્પિટલ, કુંદન હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ અને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી. તો ઈન્જેક્શનની અછતથી કેટલીક હોસ્પિટલોએ નવા એડમિશન આપવના બંધ કર્યા છે.
આવતુ અઠવાડિયું ગંભીર હોવાની કરી આગાહી
રાજકોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ નિવેદન આપ્યું હતું કે, બધી હોસ્પિટલો ફૂલ છે કોરોનાની કામગીરીમાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે ત્યારે રાજકોટના નગરજનો માટે આવતું અઠવાડિયુ ભયંકર સાબિત થઇ શકે છે.
CM રૂપાણીએ આપ્યા આદેશ
પરિસ્થિતિનો તાગ લેતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રને તાબડતોબ રેમડેસિવિરનો જથ્થો રાજકોટ મોકલવા માટે આદેશ આપ્યા છે. ત્યારે આજે સાંજ સુધીમાં 250 ડોઝનો રેમડેસીવર ઇન્જેક્શનનૉ જથ્થો રાજકોટ આવી પહોંચશે.
ગઇકાલે રાજ્યમાં નોંધાયા છે 2400થી વધુ કેસ
રાજ્યમાં કાળ બનેલા કોરોનાના રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાયા છે. તેની સામે 2,015 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે 155 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,528 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.