રાજકોટમાં ફરી રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીનો ધૂણતો વીડિયો વાયરલ થયો છે.માતાજીના માંડવામાં ચુંદડી ઓઢી રૈયાણી ધૂણી રહ્યા હતા. અને પરિવાર અને સમાજના લોકો રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. સાથે તાલુકા ભાજપ પ્રમુખ પણ ધૂણતા નજરે પડ્યા હતા.ગતરાત્રીએ ગુંદા ગામે માતાજીનો માંડવો યોજાયો હતો. જેમાં સાંકળ લઈને પોતાના શરીર પર ફટકા મારતા પણ અરવિંદ રૈયાણી નજરે પડ્યા હતા.
મંત્રી અરવિંદ રૈયાણીએ શું કહ્યું?
મારુ ગામ રાજકોટથી 15 કિલોમીટર દૂર છે. અમારા રૈયાણી પરિવારનો માંડવો હતો. 42 જેટલા માતાજીના મઢ આવેલા છે. દરેક સમાજની અંદર કુળદેવીનું પૂજન થતું હોય છે. હું 15 વર્ષથી અમારા રૈયાણી પરિવારના માતાજીનો ભૂવો છું. એટલે ઘણી વાર લોકો કહેતા હોય છે કે ભૂવા પહેલું બીજી ત્રીજું કરતાં હોય છે. તો આની અંદર દોરા ધાગા કે દાણા નાખવાની કોઈ પરંપરા જ નથી. સમગ્ર હિન્દુ સમાજ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરેક સમાજના અલગ અલગ માંડવા થતાં હોય છે જેમાં વિધિ મુજબ કુળદેવીની પાર્થના થતી હોય છે. આ અમે કોઈ ઊભી કરેલી પરંપરા નથી વર્ષો જૂની છે.આસ્થા મુજબ અમે કોઈ ખોટું કામ કરતાં નથી. એટલે હું ભૂવો એટલે અન્ય જે સમજતા હોય એ સમજવા દો.
માતાજીની ચૂંદડી ઓઢી ધૂણ્યા હતા
આપને જણાવી દઈએ કે અરવિંદ રૈયાણી રાખડી બંધ ભૂવા તરીકે ઓળખાય છે. માતાજીના માંડવાની આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખવામાં આવ્યું છે. ગઈ કાલના કાર્યક્રમમાં અરવિંદ રૈયાણી પોતાના માથા પર માતાજીની ચૂંદડી પણ ઓઢી ધૂણતા નજરે પડ્યા હતા.જે બાદ શરીર પણ સાંકળોના કોરડા પણ શરીર પર માર્યાં હતા.