રાજકોટ: ગોંડલ તાલુકાના ઉમવાડાની પ્રસુતાનું સારવાર દરમિયાન મોત થતા મામલો બીચકયો હતો. પ્રસુતાના પરિવારજનો એ આક્ષેપ કર્યો હતો કે રોડની કામગીરીને કારણે પ્રસુતાનું મોત થયું છે.
છેલ્લા 3 મહિનાથી રોડ રસ્તાની કામગીરી ચાલતી હતી જેના કારણે સારવારમાં વાર લાગી હતી. આ ઘટનાને પગલે પરિવારજનો મૃતદેહ લઇ નગરપાલિકા કચેરી પહોંચે એ પહેલા પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યાં હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઉમવાડા ગામે છેલ્લા કેટલાક મહિનાઓથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે ઉમવાડાની જનતા ત્રાહિમામ પોકારી ગયેલ. ત્યારે આજરોજ એક પ્રસુતાને સારવાર સમયસર નહીં મળી શકવાના કારણે પ્રસુતાનું મોત થતાં સમગ્ર વિસ્તારામાં ગરમાવો ફેલાઇ ગયો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પરંતુ વાલ્મિકી સમાજ દ્વારા કોઇપણ પ્રકારના વિરોધના સૂર ઉઠે તે પહેલા જ પાલિકાના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારે આ મામલે સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ મહિલાને ઉબડખાબડ રોડના કારણે પગમાં ઠેસ વાગત તે પડી ગયેલ અને જેના કારણે તેણીને પેટમાં વાગ્યું હતું. અને સમયસર સારવાર મળે તે પહેલા મહિલાનું નિધન થયું હતું. જો કે આ મામલે હવે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે તે તો આવનારો સમય જ જણાવશે.