રાજકોટમાં આવેલ પંડિત દીનદયાલ આવાસ યોજનના મકાનમાં આજે સવારે એક મહિલા એએસઆઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં હતાં.
બન્ને જણાએ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. બે પોલીસ કર્મચારીના આત્મહત્યાના ચકચારી કિસ્સામાં ડીસીપી એસીપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રોડ પર આવેલા મારુતિ શો રૂમ પાછળ પંડીત દીનદયાળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ ખુશબૂબહેન કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલે રવિરાજસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.
શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ ખુશબૂબહેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં કોઇ કારણસર આપઘાત કરી લીધો છે.
રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબહેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં.૪૦૨માં રહેતાં હતાં. આજે સવારે રવિરાજસિંહ ખુશબૂબહેનના ઘરે આવ્યા હતા જ્યાં અગમ્ય કારણોસર બન્ને જણાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે બન્નેની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે અને બન્નેએ આત્મહત્યા કેમ કરી તેનું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.