રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજકોટ પોલીસે પત્રકાર પરિષદ કરી હતી. DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અગ્નિકાંડ મુદ્દે 304-A મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે. અત્યારે 5 આરોપીની પૂછપરછ ચાલે છે. મહત્વનું છે કે આ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકોના મૃત્યુ થયા હતા. જેની તપાસ ચાલી રહી છે.
304-Aનો ગુનો દાખલ કર્યો, જેનો રોલ સામે આવશે તેની ધરપકડ થશેઃ DCP
હોસ્પિટલ તરફથી પોલીસને જાણ નહોતી કરાઈઃ DCP
રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે DCPએ કહ્યું કે, આ ઘટનામાં 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોકુલ હેલ્થકેરના પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, તેજસ મોતીવારસ, તેજસ કરમટા અને દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઇ છે. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા, ડૉ.કરમટાની પૂછપરછ ચાલુ છે. 10 જેટલા મુદ્દાના આધારે ફરિયાદ દાખલ કરી છે. જેનો રોલ સામે આવશે તેની ધડપકડ થશે. ડૉ. વિશાલ મોઢાએ કોવિડ હોસ્પિટલની મંજૂરી માંગી હતી.
DCPએ વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનુ ગુંગણામણથી મોત થયું છે જ્યારે 4 દર્દીઓના દાઝી જવાથી મોત થયા છે. 2 અને 3 માળ હોસ્પિટલ તરીકે ચાલે છે. ICUમાં 11 દર્દીઓ હતા તેમાંથી 5 દર્દીના મોત થયા છે. એન્ટ્રી અને એક્ઝીટ એક જ ગેટ છે. ઇમરજન્સી એક્ઝિટ હતું પણ આડશ હતી. નોર્મ્સ પ્રમાણે ICUનો ગેટ હોવો જોઈએ એ પ્રમાણે નથી. હોસ્પિટલ સ્ટાફમાં તાલીમનો પણ અભાવ હતો.
30 સેકન્ડમાં આગ લાગી હતી: DCP
DCPએ કહ્યું કે, 30 સેકન્ડમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં 12:22 મીનીટે પ્રથમ સ્પાર્ક થયો હતો. 12:35 મીનીટે ફાયર ટિમ આવે છે. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ નહોતી કરાઈ. CCTVની વિઝીબિલિટી લો છે. ખૂબ ધુમાડો છે એટલે DVR FSLમાં મોકલ્યા છે.