રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં 17 કરોડના બારદાન સળગવા મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટ યાર્ડમાં બારદાન સળગવા મામલે બી ડીવઝન પોલીસે ગુજકોટના મેનેજર સૌરાષ્ટ્ર અરિયાના મેનેજર સહિત 8 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે જે બારદાનમાં આગ લાગી હતી. તેમાંથી 34 હજાર જેટલા બારદાન પહેલા જ બારોબાર વેચી દેવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ શિવાય પણ મગન ઝાલાવાડિયાની અનેક કરતૂત સામે આવી છે. તો હજૂ પણ આરોપીઓની પુછપરછમાં વધુ મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.
મહત્વનું છે કે રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાન સળગવા મામલે હવે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. સૌરાષ્ટ્ર વેર હાઉસના મેનેજર મગન ઝાલાવાડિયા સહિત પોલીસે 8 શખ્સો વિરૂદ્ધ સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા મામલે ફરિયાદ નોંધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. મગન ઝાલાવડીયા અમદાવાદ ગુજકોટના મેનેજર મનોજ મનસુખ લીંબાસિયા કાનજી ઢોલરીયા નીરજ પરેશ સખારવા મહેશ પ્રધાનભાઈ અને અરવિંદ ઠક્કર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગોડાઉનના શેડ નંબર 1 અને શેડ નંબર 2માં આગ લાગી હતી. 15 લાખ 80 હજારના બારદાન બારોબાર વેચી નાખ્યા હોવાનુ પણ સામે આવ્યુ હતુ. સાથે જ સરકારી રજીસ્ટાકના પેજ ફાડીને નાશ કર્યુ હોવાના મામલે મગન ઝાલાવાડિયા સહિત અમદાવાદ ગુજકોટના મેનેજર સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારે અનેક સવાલો ઉપજે છે કે શું ફરિયાદથી બારદાનમાં લાગેલી આગ બુઝાશે? 4 મહિના બાદ કેમ નોંધાઈ ફરિયાદ? 13 માર્ચની ઘટના 19 ઓગસ્ટના રોજ કેમ ફરિયાદ? પોલીસ અત્યારસુધી શું કરતી હતી? 8 શખ્સો વિરૂદ્ધ હવે કેમ ફરિયાદ? રહી રહીને કેમ જાગી પોલીસ? શું મોટા માથાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો? શું દસ્તાવેજો સગેવગે થયા છે? 30 હજારથી વધુ બારદાન વેંચાયા તો કોણે ખરીદ્યા? કૌભાંડના તાર ક્યાં સુધી? હજુ કેટલા ચહેરા સામે આવશે? શું ફરિયાદથી મળશે ન્યાય? બારોબાર બારદાન વેંચવાનું કારસ્તન કોણે રચ્યું હતું? આગ લગાવનાર મુખ્ય આરોપી કોણ?