રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસકર્મીઓના સર્વિસ રિવોલ્વરને લઈને નિર્ણય લીધો છે. નવનિયુક્ત 32 ASI પાસેથી રિવોલ્વર પરત લેવામાં આવી છે. રાજકોટમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. જેને અટકાવવા માટે પોલીસ કમિશનરે નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરે આદેશ આપ્યા હતા કે, ફરજ પૂર્ણ થયા બાદ તમામ પોલીકર્મીઓને હથિયાર જમા કરાવવાના રહેશે. 24 કલાકમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાનો નિર્ણય બદલ્યો અને નવનિયુક્ત ASI પાસેથી રિવોલ્વર પરત મંગાવી હતી.
શું બની હતી ઘટના
રાજકોટમાં આવેલ પંડિત દીનદયાલ આવાસ યોજનના મકાનમાં ગુરુવારે એક મહિલા એએસઆઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ એક જ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં હતાં.
બન્ને જણાએ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. બે પોલીસ કર્મચારીના આત્મહત્યાના ચકચારી કિસ્સામાં ડીસીપી એસીપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાજકોટના નવા ૧૫૦ ફૂટ રોડ પર આવેલા મારુતિ શો રૂમ પાછળ પંડીત દીનદયાળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ ખુશબૂબહેન કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલે રવિરાજસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.