એક સામટા 20 ઉમેદવારોને તૂટેલા સિલ વાળું પેપર મળતા અનેક તર્ક વિતર્ક, PGVCLના એડી.જનરલ મેનેજર એ.આર કટારાએ કહ્યું આરોપ ખોટા
રાજકોટમાં PGVCLની ભરતીની પરીક્ષાનો મામલો
PGVCLના એડી.જનરલ મેનેજર એ.આર કટારાનું નિવેદન
બોક્સ અને કવર સીલ વિદ્યાર્થીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા
રાજકોટમાં આજે યોજાયેલી PGVCLની પરીક્ષાના પેપરનું સિલ તૂટેલા મળતા વધુ એક પેપર કાંડના આક્ષેપ થઈ રહ્યા છે. ઉમેદવારે દાવો કર્યો છે કે, પેપર ઉમેદવારના હાથમાં આવ્યું ત્યારે તેનું સિલ તૂટેલું હતું, આવું એક નહીં પરંતુ 20 ઉમેદવારોને મળેલા પેપરમાં જોવના મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. જો કે, સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે પ્રતિભાવ આપવામાં આવ્યા ન હતા. મામલો મીડિયામાં આવતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. બનાવ અંગેની જાણ થતાં જ રાજકોટ પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાંતિલાલ અમૃતલાલ સ્કૂલમાં તપાસ આદરી હતી.
અંદરના સીલનું જે ઈશ્યુ છે તે ખોટો ઈશ્યુ છે: PGVCL, એડી.જનરલ મેનેજર એ.આર કટારા
PGVCLની પરીક્ષાનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ પર બોલ્યા એડી.જનરલ મેનેજરે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમમે જણાવ્યું કે, પેપર પ્રિન્ટીંગ બાદ મશીનથી સીલ થતું હોય છે અને પેપરનું બોક્સ સીલ જ હતું અને બ્લોકમાં ગયા ત્યારે પણ પેપર સીલ જ હતા. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, અમારી પાસે તમામ પ્રક્રિયાના રેકોર્ડિગ છે. પેપર કોઈપણ રીતે ફુટ્યું નથી અને આજે યોજાયેલી PGVCLની પરીક્ષામાં કોઈ જ પ્રકારની ગેરરીતિ નથી થઈ.
યોગ્ય તપાસ થાય: યુવરાજ સિંહ જાડેજા
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા સમગ્ર મામલે મેદાને આવ્યા હતા અને તેમણે રાજ્યમાં બનેલી તૂટેલા સિલવાળા પેપેરની ઘટનાને વખોડી હતી અને સમગ્ર મામલે તપાસના માગણી કરી હતી. સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, પ્રિન્ટીંગ પ્રેસથી લઈને સ્ટ્રોંગ રૂમની પણ કડક રીતે તપાસણી થવી જોઈએ.