રાજકોટઃ વધુ એક મગફળી ગોડાઉનમાં કૌભાંડ બહાર આવ્યું છે. નાફેડના ગોડાઉનમાં મગફળીમાંથી માટી નીકળતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જેતપુરના પેઢલા ગામે આવેલા નાફેડના ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળીની ગુણીઓમાંથી માટી નીકળી છે. ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળીમાંથી માટી નીકળતા એક વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે.
બીજી તરફ નાફેડના અધિકારીઓ ગોડાઉનને તાળા મારીને રફુચક્કર થયા છે. વેપારીઓએ ખરીદેલી મગફળી લેવા માટે જ્યારે તેઓ આવ્યા ત્યારે અધિકારીઓએ વેપારીઓને ખરીદેલી મગફળીના બદલે અન્ય મગફળી ભરવા માટે જણાવ્યુ હતું.
તો અન્ય ગોડાઉનમાં મગફળી તપાસતા મગફળીની ગુણીઓમાંથી માટી નીકળી હતી. જેથી વેપારીઓએ મગફળી ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તો વેપારીઓએ મગફળી ભરવાનું ના કહેતા નાફેડના અધિકારીઓ તાળા મારીને ફરાર થયા છે.
ગુણીઓની વાત કરીએ તો પેઢલાના ગોડાઉનમાં અંદાજે 31 હજાર જેટલી મગફળીની ગુણીઓનો જથ્થો સચવાયેલો છે. ઉલ્લેખનીય છે કે નાફેડના ગોડાઉનમાંથી મગફળી ઉપાડવાની આજે છેલ્લી તારીખ હતી. મગફળી નહીં ઉપાડી શકતા આજથી વેપારીઓ પર પેનલ્ટી શરૂ થશે. જેથી વેપારીઓમાં રોષ સામે આવ્યો છે.
ત્યારે અનેક સવાલો થાય છે કે ક્યાં સુધી ખેડૂતો સાથે થતો રહેશે દગો? ખેડૂતોને લૂંટી કોણ ભરી રહ્યું છે પોતાના ખિસ્સા? અધિકારીઓ કેમ નાસતા ફરી રહ્યાં છે? મગફળીમાં માટી ભેળવવાનું કોણ કરી રહ્યું છે પાપ? નાફેડની વિશ્ચસનિયતા પર ઉઠ્યા સવાલ... ACમાં બેસનારા બાબુઓને ખેડૂતોના પરસેવાની નથી કિંમત? શું બાબુઓને તિજોરીઓ ભરવામાં જ રસ છે? માટી વાળી મગફળી શું કામની ?